લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કાબના મતદાન બાદ બીજા તબક્કાના મતદાન માટે રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારીમાં લાગી ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મહારાષ્ટ્ર ના નાંદેડમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન મોદીએ સંબોધન દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.
![]() |
લોકસભા ૨૦૨૪ની ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર શુક્રવારે મતદાન સમાપ્ત થયું હતું. હવે બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના નાંદેડમાં એક જાહેર સભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ જે રીતે અમેઠી છોડ્યું, એવી જ રીતે વાયનાડ પણ છોડશે.’ આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ સોનિયા ગાંધી પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું હતું કે ‘સોનિયા ગાંધી રાજ્યસભા થકી સંસદ પહોંચી ગયા.’
ચૂંટણી પહેલા જ કોંગ્રેસે હાર સ્વીકારી લીધી : વડાપ્રધાન મોદી
વડાપ્રધાને આજે પોતાના સંબોધનમાં કોંગ્રેસ નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે ‘આ લોકો ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી જાહેર થયા પહેલા જ હાર સ્વીકારી લીધી છે.’ વડાપ્રધાન મોદી એ ઈન્ડિયા ગઠબંધન વિશે બોલતા કહ્યું કે ‘મતદાન બાદ બૂથ લેવલ સુધી વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ અને જે માહિતી મળી રહી છે એની એ વિશ્વાસ પાક્કો થઈ રહ્યો છે કે પ્રથમ તબક્કામાં એનડીએ(NDA)ની તરફેણમાં એકતરફી મતદાન થયું હતું. મતદારો એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે INDI એલાયન્સના લોકો પોતાના ભ્રષ્ટાચારને બચાવવા પોતાના સ્વાર્થ માટે એક થઈ ગયા છે. તેથી, પ્રથમ તબક્કામાં મતદારોએ INDI એલાયન્સને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે.’
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધન દરમિયાન સૌપ્રથમ વખત મતદાન આપનાર યુવાનોનો ઉલ્લેખ કરતા હતું કે ‘શુક્રવારે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. હું મતદાન કરનાર તમામને, ખાસ કરીને અમારા પ્રથમ વખતના મતદારોને અભિનંદન આપું છું અને તેમનો આભાર વ્યક્ત કરું છું.’