અમિત શાહ ફેક વીડિયો કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે બે આરોપીની ધરપકડ કરી છે, જેમાં એક સતીશ વાંસોલા, જે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પ્રદેશ કાર્યાલય સંભાળતો અને બીજો આર.બી.બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે.

ચૂંટણી દરમિયાન ખોટા ઈરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ૨ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બંને આરોપીઓ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના છે. અમિત શાહની ૨ સભાનો વીડિયો કાપી એક એજન્ડા (ષડયંત્ર) હેઠળ વાયરલ કરવામાં આવ્યો હતો.
એક આરોપી આમ આદમી પાર્ટી નો, બીજો કોંગ્રેસ સાથે સંકળાયેલો
અમદાવાદની સાયબર ટીમે જે આરોપીઓની ધરપકડ કરી છે, તેમના નામ સતીષ વાંસોલા અને આર.બી.બારિયા છે. સતીશ વાંસોલાએ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું પ્રદેશ કાર્યાલય સંભાળ્યું છે. જ્યારે આર.બી.બારિયા આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે. બંને આરોપીઓએ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
તેલંગાણાના સીએમને સમન્સ
તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસ આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે અને મામલાની તપાસમાં લાગેલી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે પોલીસ તપાસનો વ્યાપ માત્ર એક રાજ્ય પૂરતો સીમિત નથી રહ્યો પરંતુ ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, નાગાલેન્ડ સુધી પહોંચી ગયો છે. દિલ્હી પોલીસે આ રાજ્યોમાં અલગ-અલગ ટીમો મોકલી છે. પોલીસે નકલી વીડિયો કેસમાં તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ સમન્સ પાઠવ્યા છે.
નકલી વીડિયો શેર કરવાના સંબંધમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભા ઉમેદવારને પણ નોટિસ આપવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ઝારખંડમાં કોંગ્રેસના એક નેતાને પણ નોટિસ મળી છે. તેમને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, નાગાલેન્ડના એક કોંગ્રેસી નેતાને પણ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.
નકલી વીડિયો કેસમાં અમિત શાહે શું કહ્યું?
મંગળવારે ગુવાહાટીમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ ખોટી માહિતી ફેલાવી રહી છે કે, ભાજપ ૪૦૦ સીટો પાર કર્યા બાદ અનામત ખતમ કરી દેશે. તેમણે કહ્યું કે, આ દાવાઓ પાયાવિહોણા છે. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ભારતીય જનતા પાર્ટી એસસી, એસટી અને ઓબીસી માટે અનામતને સમર્થન આપે છે અને હંમેશા રક્ષક તરીકે તેની ભૂમિકા ભજવશે.
શાહે વધુમાં કહ્યું કે, જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચા સ્તરે લઈ જવાનું કામ કરી રહ્યા છે. હું માનું છું કે, નકલી વિડિયો ફેલાવીને લોકોનું સમર્થન મેળવવાનો પ્રયાસ એકદમ નિંદનીય છે અને ભારતીય રાજકારણમાં કોઈપણ મોટા પક્ષ દ્વારા આવું ક્યારેય ન કરવું જોઈએ.
શું મામલો હતો (કેસ) હતો
હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થયો છે. તેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, શાહ ભાજપની જીત બાદ એસસી અને એસટી માટે અનામત ખતમ કરવાની વાત કરી રહ્યા છે. બાદમાં સ્પષ્ટ થયું કે, શેર કરવામાં આવેલ વિડિયો એડિટ કરવામાં આવ્યો હતો. મૂળ વિડિયો વર્ષ ૨૦૨૩ માં તેલંગાણામાં આપેલા ભાષણનો હતો. જેમાં ગૃહમંત્રી મુસ્લિમ ક્વોટા નાબૂદ કરવાની વાત કરી રહ્યા હતા.