ટી – ૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ટીમનું નેતૃત્વ પણ ફરી રોહિત શર્માને જ સોંપવામાં આવ્યું છે. આ સાથે રિષભ પંતને વિકેટ કીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે.
ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમમાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. જ્યારે તેની સાથે વાઈસ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને યથાવત્ રખાયો છે. બીજી બાજુ યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ કરાયો છે. આ સાથે રિઝર્વ ખેલાડી તરીકે શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને આવેશ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એ લાંબી ચર્ચા અને મંથન બાદ ટીમની જાહેરાત કરી હતી. ચીફ સિલેક્ટર અજિત અગરકરના નેતૃત્વ હેઠળની નેશનલ સિલેક્શન કમિટીએ અનેક ખેલાડીઓના નામ પર ચર્ચા કરી હતી. છેવટે ૧૫ ખેલાડીઓના નામ ફાઈનલ કરાયા હતા. જેમાં હાર્દિક પંડ્યા જે હાલમાં એઈપીએલ માં ખરાબ ફોર્મમાં દેખાઈ રહ્યો છે તેનો પણ સમાવેશ કરાયો હતો અને આ સાથે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. તેને ટીમનો વાઈસ કેપ્ટન જાહેર કરાયો છે. આ સાથે નવા ચહેરા અને યુવાઓની સ્ક્વૉડમાં શિવમ દુબે, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, અક્ષર પટેલ અને ચહલનો સમાવેશ કરાયો હતો. જ્યારે શુભમન ગિલને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.