અરવિંદર સિંહ લવલી સહિત ઘણા નેતા ભાજપમાં જોડાયા.
લોકસભા ચૂંટણી ટાણે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ અરવિંદર સિંહ લવલી સહિત પાર્ટીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો લાગ્યો છે. લવલીએ આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધનથી નારાજ થઈને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. લવલી શીલા દીક્ષિતની સરકારમાં પણ મંત્રી રહી ચુક્યા છે. ગત વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસના પ્રમુખ પદે લવલીની નિમણૂક કરાઈ હતી.
લવલી સાથે પાંચ કોંગ્રેસ નેતાઓ ભાજપમાં જોડાયા
અરવિંદર સિંહ લવલી અને કોંગ્રેસના અન્ય નેતાઓ આજે ભાજપમાં જોડાયા ત્યારે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી , ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા ઉપસ્થિત રહ્યા હતા. લવલી સાથે રાજકુમાર ચૌહાણ, નસીબ સિંહ, નીરજ બસોયા, અમિત મલિક અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી યોગાનંદ શાસ્ત્રી પણ ભાજપમાં જોડાઈ ગયા છે.
રાજધાની દિલ્હીમાં કોંગ્રેસે અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન છે, તેના કારણે જ લવલીએ તાજેતરમાં જ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. લવલીએ રાજીનામું આપ્યા બાદ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, દિલ્હીના કોંગ્રેસ એકમને ગઠબંધનથી વાંધો હતો. પાર્ટીના હાઈકમાન્ડ પણ રાજધાનીના નેતાઓની વાત સાંભળતા નહીં અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવાની મંજૂરી આપી દીધી હતી. તેમણે દિલ્હી કોંગ્રેસના આંતરીક ડખા મામલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના દિલ્હી પ્રભારી દીપક બાબરિયાને જવાબદાર ઠેરવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, દિલ્હીની સાતેય લોકસભા બેઠકોપર છઠ્ઠા તબક્કામાં ૨૫મી મેએ મતદાન થવાનું છે.