આપ નેતા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ૧૦ ગેરંટીની ઘોષણા કરી છે. જેમા ચીનને પછાડવાની અને ભાજપને તોડવાની વાત કહી છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ દરમિયાન દિલ્હી લીકર કૌભાંડ કેસમાં જેલમાંથી બહાર આવ્યા બાદ આપ નેતા અરવિંદ કેજરીવાલ એક્શન મોડમાં દેખાઇ રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી અને પંજાબમાં ચૂંટણી પહેલા દસ ગેરંટીની ઘોષણા કરી છે. તેમણે કહ્યું હતું કે ધરપકડને કારણે ગેરંટીની જાહેરાતમાં થોડો વિલંબ થયો છે.
અરવિંદ કેજરીવાલે ૧૦ ગેરંટીની ઘોષણા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. તેમણે કહ્યું, “આ ગેરંટી પર અમારા ભારતીય ગઠબંધન ભાગીદારો સાથે ચર્ચા કરવામાં આવી નથી, પરંતુ અમે જે પ્રકારની ગેરંટી આપી રહ્યા છીએ તેનાથી કોઈને પણ કોઈ સમસ્યા થશે નહીં. તેમણે કહ્યું કે આ દસ ગેરંટી પર યુદ્ધના ધોરણેકામ કરવામાં આવશે. લોકોએ નક્કી કરવાનું રહેશે હે કે તેઓ કેજરીવાલની ગેરંટી પસંદ કરશે કે મોદીની ગેરંટી.
અરવિંદ કેજરીવાલની ૧૦ ગેરંટી
દેશભરમાં ૨૪ કલાક વીજળી
મફત અને સારું શિક્ષણ
સારી આરોગ્ય સેવાની ગેરંટી. દરેક ગામ, દરેક મોહલ્લામાં ક્લિનિક ખોલશે
રાષ્ટ્ર સર્વોપરી – ચીનને ભારતીય જમીન પરથી તગેડી મૂકશે. સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપશે.
અગ્નીવીર યોજના બંધ કરવામાં આવશે. હંગામી ભરતી બંધ થશે.
ખેડૂતોને એમએસપીની ગેરંટી
દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે
એક વર્ષમાં બે કરોડ રોજગારીનું સર્જન કરવામાં આવશે
ભાજપના વોશિંગ મશીનને ચાર રસ્તા પર તોડી નાંખશે. ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવશે
જીએસટીને સરળ બનાવવામાં આવશે. પીએમએલએ કાયદો રદ કરવામાં આવશે. અમારો લક્ષ્ય ચીનને પછડવાનો છે.
તાજેતરમાં પ્રીમ કોર્ટે દિલ્હી લીકર કૌભાંડ કેસમાં આપ નેતા અરવિંદ કેજરીવાલને એક જૂન સુધી વચગાળાના જામીન આપ્યા છે. આ પહેલા ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના પગલાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે તેમને કોઈપણ વિશેષ છૂટ કાયદાના શાસન અને સમાનતા માટે ક્ષતિ સમાન હશે. જેનાથી દેશમાં બે અલગ વર્ગોનું નિર્માણ થશે. સામાન્ય લોકો જેઓ કાયદાના શાસન તેમજ દેશના કાયદાઓથી બંધાયેલા છે અને રાજકારણીઓ જે કાયદામાંથી મુક્તિ માંગી શકે છે.EDએ એક્સાઇઝ પોલિસી કેસમાં ૨૧ માર્ચે કેજરીવાલની ધરપકડ કરી હતી.