તાજેતરમાં વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી હતી. ત્યારે આજે એક બનાવ પોઇચાથી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જિલ્લાના ચાણોદ તાલુકામાં આવેલા પોઇચામાં ફરવા માટે આવ્યા હતા.જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં ૩ નાના બાળકો સહીત ૮ લોકો નાહવા પડ્યા હતા.
નદીમાં એક પછી એક તમામ ૮ લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જ્યારે અન્ય ૭ હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે.
આ ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.