લોકસભા ચૂંટણી ૨૦૨૪ નું પરિણામ ૪ જૂને આવશે, પરંતુ તે પહેલા રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોર બાદ અમેરિકાના રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ ભાજપ ને કેટલી બેઠકો મળશે તે મામલે આગાહી કરતા કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ શકે છે.

ચૂંટણી પ્રબંધક તરીકે પ્રખ્યાત પ્રશાંત કિશોરે એક ઈન્ટરવ્યુ દરમિયાન કરેલી ભવિષ્યવાણીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જેમાં તેઓ કહી રહ્યા છે કે, ૪ જૂને ભાજપ ૨૦૧૯ કરતા વધુ સારું પ્રદર્શન કરશે અને ૩૦૩ થી વધુ સીટો મેળવશે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું કે, પીએમ મોદી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર નથી.
પ્રશાંત કિશોરના આ નિવેદનની ચર્ચા વચ્ચે હવે અમેરિકાના એક અગ્રણી રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમરે પણ આગાહી કરી છે કે, આ વખતે ચૂંટણીમાં સત્તાધારી પક્ષ (ભાજપ)ને સૌથી વધુ બેઠકો મળશે.
શું છે ચર્ચાઓ?
પ્રશાંત કિશોરે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, પીએમ મોદીની ભાજપ સત્તામાં રહેશે. કાં તો તેમની સંખ્યા છેલ્લી વખતની જેમ જ રહેશે અથવા તેના કરતા થોડી વધુ સારી હશે. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી સામે લોકોમાં નારાજગી દેખાઈ રહી નથી.
ઇયાન બ્રેમનરે શું કહ્યું?
હાલ ચાલી રહેલી લોકસભાની ચૂંટણી અંગે તેમની આગાહીઓ વિશે પૂછવામાં આવતા રાજકીય વિશ્લેષક ઈયાન બ્રેમનર એનડીટીવી પ્રોફિટને પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે, ભાજપ ૨૯૫ થી ૩૧૫ બેઠકો જીતી શકે છે. ભાજપ ૨૦૧૪ માં ૨૮૨ બેઠકો સાથે સત્તામાં આવી હતી, તેમના ગઠબંધનને કુલ ૩૩૬ બેઠકો મળી હતી.
૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૩૦૩ બેઠકો જીતી હતી અને NDAએ ૩૫૦ નો આંકડો પાર કર્યો હતો. ભાજપના નેતાઓ સતત ૪૦૦ સીટો પાર કરવાની વાત કરી રહ્યા છે. તો ઇયાન બ્રેમરે કહ્યું કે, “મોદી લગભગ નિશ્ચિતપણે ત્રીજી ટર્મ માટે ખૂબ જ મજબૂત પ્રદર્શન અને સતત સુધારા સાથે જીતવા જઈ રહ્યા છે.” ઇયાન બ્રેમરે કહ્યું કે, ભારત આવતા વર્ષ સુધીમાં વિશ્વની ચોથી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા બની શકે છે અને આ એક મોટી વાત હશે.