સ્ટેડિયમ માં દર્શક વગર મેચ રમાશે : ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T-20 દર્શકો વિના રમાશે, દર્શકોને રિફંડ મળશે

અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં કોરોના માતેલા સાંઢની જેમ આગળ વધી રહ્યો છે. તેમાં પણ છેલ્લા પાંચ દિવસથી રાજ્યમાં દરરોજે 700થી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. પોલીસ તથા સત્તાવાળાઓએ ફરી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના મુદ્દે સામાન્ય પ્રજા માથે પસ્તાળ પાડી છે. પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગની કાર્યવાહીનું કડકપણું ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનું (GCA) નામ પડતાં જ ગાયબ થઈ જાય છે. જેને પગલે લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો. આ રોષને લઈ આજે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20 દર્શકો વિના જ રમાડવાનો નિર્ણય લીધો છે.

આ પહેલા 14 માર્ચે જીસીએએ પૈસા કમાવાની લાલચમાં પ્રજાના સ્વાસ્થ્યના ભોગે હજારો દર્શકોની ભીડ કરી હતી. પરંતુ હવે જીસીએને બુદ્ધિ આવી ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને GCAએ તિજોરી ભરવી હતી
અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની લ્હાયમાં GCA દેવાના ડુંગર તળે દબાઈ ગયું છે. આવામાં પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર કરવા GCA લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરીને પોતાની તિજોરી ભરવા માગતું હોવાની પણ ચર્ચા ઉઠી હતી. GCA આવું કરે તો કરે, પરંતુ રાજ્ય સરકાર પણ અમદાવાદની જનતામાં કોરોના વિસ્ફોટ થવા દેવાના જોખમે GCAની આ વૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યું હતું.

રવિવારની મેચમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.
બાકીની ત્રણ મેચો બંધ બારણે રમાશેઃ GCA
આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિયેશને 10 વાગ્યે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, કોરોના કેસો વધી રહ્યા હોવાથી 16,18 અને 20 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની T20ની મેચો દર્શકો વિના રમાશે. તેમજ ટિકિટ ખરીદનારા દર્શકોને રિફંડ આપવામાં આવશે. GCAએ BCCI સાથે ચર્ચા વિચારણા કરીને હવે પછીની મેચો બંધ બારણે રમાડવાનો નિર્ણય કર્યો છે. તેમજ બાકીની ત્રણ મેચો માટેની ટિકિટોના રિફંડ અંગેની નીતિ બનાવવામાં આવશે. તેમજ જે લોકોને ફ્રીમાં ટિકિટ આપવામાં આવી છે તેમને સ્ટેડિયમની મુલાકાત ન લેવા માટે વિનંતિ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *