કુવૈત બિલ્ડીંગ આગ ઘટનામાં પાંચ ભારતીય સહિત ૪૦ લોકોના મોત નીપજ્યાનો પ્રાથમિક અહેવાલ છે. એસ જયશંકરે દુઃખ વ્યક્ત કર્યું, બિલ્ડીંગમાં મોટાભાગના મલયાલમ કારીગરો.
કુવૈતના દક્ષિણ બાજુના શહેર મંગાફમાં એક બિલ્ડીંગમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૪૦ લોકોના મોત થયા છે. બુધવારે સવારે આગ ફાટી નીકળી હતી અને આખી ઈમારત રાખ થઈ ગઈ હતી. વહેલી સવારે લાગેલી આગ જોત જોતામાં સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી અને અનેક ભારતીય મજૂરો ઈમારતની અંદર જ ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે.
વરિષ્ઠ પોલીસ અધિકારી ઈદ રાશિદ હમાદે જણાવ્યું હતું કે, આ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે લગભગ ૦૬:૦૦ વાગે લાગી હોવાનું અનુમાન છે. જે બિલ્ડિંગમાં આગ લાગી ત્યાં મજૂરો રહેતા હતા અને તેઓ મોટી સંખ્યામાં ત્યાં હાજર હતા. પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ડઝનેક લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ આગને કારણે ઘણા લોકોના મોત થયા છે.
ઘાયલોની સારવાર ચાલુ છે
કુવૈતના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, ઈમારતમાંથી બચાવી લેવામાં આવેલા તમામ ઘાયલ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી કેટલાકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મંત્રાલયે કહ્યું કે, બિલ્ડીંગમાં લાગેલી આગમાં ઘાયલ થયેલા લોકોને યોગ્ય તબીબી સંભાળ પૂરી પાડવા માટે ડોકટરો અને અધિકારીઓ તમામ પગલાં લઈ રહ્યા છે.
બિલ્ડિંગમાં કામદારો રહેતા હતા, મોટાભાગના મલાયલમ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ બિલ્ડિંગમાં લગભગ ૧૯૫ મજૂરો રહેતા હતા. ઈમારતમાં મલયાલમ લોકોની વસ્તી વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જો કે હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ બિલ્ડિંગની માલિકી NBTC ગ્રુપ હેઠળ મલયાલી બિઝનેસમેન કેજીર અબ્રાહમ પાસે છે. આ પહેલા જાન્યુઆરી મહિનામાં કુવૈતમાં એક મોટી ઓઈલ રિફાઈનરીમાં રિપેરિંગ કામ દરમિયાન આગ લાગી હતી. આ ઘટનામાં બે કર્મચારીઓના મોત થયા હતા. જેમાં પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
આ પણ વાંચો –
એસ જયશંકરે શોક વ્યક્ત કર્યો હતો
કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. અહેવાલ છે કે, ૪૦ થી વધુ લોકોના મોત થયા છે અને ૫૦ થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમારા રાજદૂતો કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. દુ:ખદ રીતે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના છે. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ સહાય પૂરી પાડશે.