રાજકોટ અગ્નિકાંડ મામલે મુખ્યમંત્રી નું નિવેદન ‘ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે’.
આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાજ્યની નગરપાલિકા અને મહાનગરપાલિકાના વિકાસકામો માટેની ગ્રાન્ટના ૨૧૧૧ કરોડના ચેક વિતરણનું શહેરી વિકાસ દ્વારા કરવામાં આવેલ આયોજનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જો કે અહી તેમણે રાજકોટ માં સર્જાયેલ ગેમ દુર્ઘટના અંગે નિવેદન આપ્યું હતું.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજકોટની દુર્ઘટના બન્યા પછી આપણને એમ થાય કે આટલું બધુ કામ કરીએ છતાં ક્યાંક કે ક્યાંક આપણી ભૂલ થાય છે, કેવી રીતે થાય છે? એ આજે સૌથી પહેલી પ્રાયોરિટી માણસના જીવ બચાવવાની હોવી જોઈએ., એમાં કોઈપણ જાતનું સમાધાન કોઈપણ પક્ષે ન હોવું જોઈએ. અધિકારી હોય કે પદાધિકારી હોય કોઈપણ પક્ષે સમાધાન ન હોવું જોઈએ. તો જ આમાંથી નીકળી શકાશે.
તેમણે કહ્યું હતું કે આ બાદ ગેમઝોનને લઈને SOP બનાવી દેવામાં આવી છે અને પબ્લિક ડોમેઇનમાં પણ મૂકી દીધી છે. આપણે પબ્લિકને પણ આ બાબતે પૂછી લઈએ કે એમને આ બાબતે આમાં કઈ ઉમેરવા જેવુ લાગતું હોય તો ઉમેરીએ. જેથી કરીને આવી કોઈ બીજી ઘટના ફરી ન બને. એના માટે આપણે સૌએ ધ્યાન રાખવું પડશે. વિકાસ અને વિકાસની પાછળ દોટ મૂકીએ પણ જેના માટે વિકાસ કરી રહ્યા છીએ એનું જો ધ્યાન નહિ રાખીએ તો તે આપણાં માટે કોઈ ઉપયોગી ન થઈ શકે એવું બને.
તેમણે સરકારી તંત્રના અધિકારીઓને ટકોર કરતાં કહ્યું હતું કે જે નાની ફરિયાદો પ્રજાજનોમાંથી આવે છે તેનો ઉકેલ કરવા વિચાર કરી શકાય. હવે તો સીધો વીડિયો બનાવીને જ મોકલી દે છે કે જુઓ આ વીડિયો કામ થઈ રહ્યો છે. આ વાત મીડિયા કરશે તો ક્રિટીસાઇઝ જેવુ લાગશે પણ તેઓ ક્રિટીસાઇઝ નથી કરતાં પણ નાની ભૂલો બતાવી જાગ્રત કરે છે. જો તેના પર ધ્યાન આપવામાં આવશે તો પણ ઘણું મોનીટરીંગ થઈ જાય છે.