
સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે ઉત્તર પ્રદેશમાં હારની સમીક્ષા કરતી વખતે મત ઘટવાના કેટલાક કારણો શોધી કાઢ્યા છે. રાજ્યની ૮૦ લોકસભા બેઠકો માટે ૪૦ ટીમો સમીક્ષા કરી રહી છે. ખાસ વાત એ છે કે, અત્યાર સુધી જે સમીક્ષા કરાઈ છે, જેમાં એક પેટર્ન સામે આવી છે. ભાજપને પૂર્વ ઉત્તર પ્રદેશથી લઈને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સુધી એક વિશેષ પેટર્નના કારણે મત ઓછા મળ્યા હોવાનું સામે આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં નબળા પ્રદર્શન અંગેનો ભાજપનો રિપોર્ટ ૨૫ જૂન સુધીમાં તૈયાર થવાની સંભાવના છે. રાજ્યમાં ભાજપને મળતા મતોમાં લગભગ છથી ૭ % મતોનો ઘટાડો થયો હોવાની પેટર્ન ધ્યાને આવી છે. બીજીતરફ ભાજપના અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીને અયોધ્યા અને અમેઠી બેઠકની સમીક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યની બાકીની બેઠકો માટે અન્ય એક વરિષ્ઠ નેતા સમીક્ષાનું કામ કરી રહ્યા છે.
વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર પ્રદેશમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ બંને ચૂંટણીમાં ભાજપે પોતાના દમ પર બહુમતીનો આંકડો પાર કર્યો હતો. જોકે આ વખતે અખિલેશ યાદવ અને રાહુલ ગાંધીની જોડીએ ભાજપની સફળતા પર પાણી ફેરવી દીધું છે. આ વખતે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે રાજ્યની ૮૦ બેઠકોમાંથી ૪૦ બેઠકો પર જીત મેળવી છે. આમાં સપાને ૩૭ તો કોંગ્રેસને છ બેઠકો મળી છે.