યમન નાગરીકના ભારતના વિઝા પૂરા થઈ ગયા બાદ લીવ ઈન્ડિયા નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હતી. હાઈકોર્ટે ૧૫ દિવસની સુરક્ષા આપી.
બોમ્બે હાઈકોર્ટે એક શરણાર્થીને સખત ઠપકો આપ્યો છે. તે નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમય માટે ભારતમાં રહ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેણે ભારતની ઉદારતાનો વધારે ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. જો તે ઈચ્છે તો તેમને પાડોશી દેશ પાકિસ્તાન અથવા કોઈપણ ગલ્ફ દેશમાં જવાની સલાહ પણ આપી હતી. થોડા સમય પહેલા શરણાર્થીને ‘લીવ ઈન્ડિયા નોટિસ’ આપવામાં આવી હતી. કોર્ટે અરજીકર્તા વતી કહ્યું કે, તે છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં રહે છે. તેથી તેને અહીંથી બહાર ન મોકલવો જોઈએ.
શું છે મામલો ?
યમનનો નાગરિક ખાલિદ ગોમી મોહમ્મદ હસન છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં રહેતો હતો. તે નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી ભારતમાં રોકાયા બાદ પુણે પોલીસે તેને નોટિસ પાઠવી હતી. હાઈકોર્ટમાં જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. લાઈવ લોના રિપોર્ટ અનુસાર, જજોએ કહ્યું, ‘તમે પાકિસ્તાન જઈ શકો છો, જે પડોશમાં જ છે. અથવા તમે કોઈપણ ગલ્ફ કન્ટ્રીમાં જઈ શકો છો. ભારતના ઉદાર વલણનો ખોટો લાભ ન ઉઠાવો.
તમને જણાવી દઈએ કે, હસન પાસે શરણાર્થી કાર્ડ છે. તે ઓસ્ટ્રેલિયા જવા માંગે છે. ભારત હવે તેને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી બચવા માટે તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. પોતાની અરજીમાં હસને કહ્યું કે, યમન સૌથી ખરાબ માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેથી તે છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં રહી રહ્યો છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, ૪૫ લાખ નાગરિકો વિસ્થાપિત થયા છે.
સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો
તમને જણાવી દઈએ કે, હસન માર્ચ ૨૦૧૪ માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો. આ પછી ૨૦૧૫ માં તેની પત્ની પણ મેડિકલ વિઝા પર અહીં આવી હતી. હસનની પત્નીના વિઝા સપ્ટેમ્બર ૨૦૧૫ માં સમાપ્ત થઈ ગયા હતા, જ્યારે તેના વિઝા ફેબ્રુઆરી ૨૦૧૭ માં સમાપ્ત થઈ ગયા હતા. પોલીસે તેની વિરુદ્ધ લીવ ઈન્ડિયા નોટિસ જાહેર કરી હતી. પોલીસે તેને ૧૪ દિવસમાં ભારત છોડવા કહ્યું. હસને ઓછામાં ઓછા ઓસ્ટ્રેલિયાના વિઝા ન મળે ત્યાં સુધી દેશનિકાલથી રક્ષણ માંગ્યું હતું. કોર્ટે કહ્યું, ‘અમે તમને માત્ર ૧૫ દિવસની સુરક્ષા આપી શકીએ છીએ અને તેનાથી વધુ નહીં.’