ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. હિંસક વિરોધ બાદ શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારત બાંગ્લાદેશ સાથે મોટા પ્રમાણમાં વેપાર કરે છે. દેશમાં ફેલાયેલી હિંસાને કારણે ભારતના બિઝનેસને પણ અસર થવાની આશંકા છે. બંને દેશો ઘણી વસ્તુઓની આયાત અને નિકાસ કરે છે. દેખાવો અને હિંસાને કારણે બાંગ્લાદેશના ઉદ્યોગો ઘણા લાંબા સમયથી બંધ છે. તે અન્ય દેશોમાં કોઈપણ સામાન મોકલી રહ્યો નથી. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારતમાં ઘણી પ્રોડક્ટ્સની કિંમતો પર નોંધપાત્ર અસર થઈ શકે છે.
બાંગ્લાદેશ ઉચ્ચ ગુણવત્તાવાળા તૈયાર વસ્ત્રોના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીં મજૂરો અને કાચો માલ સસ્તા ભાવે મળે છે. અહીં ઉત્પાદિત કપડાંની ફિનિશિંગ અને ગુણવત્તા વિશ્વમાં ખૂબ સારી માનવામાં આવે છે. ભારતની મોટી બ્રાન્ડ્સ કાં તો બાંગ્લાદેશમાં તેમના કપડા ઉત્પાદિત કરે છે અથવા ત્યાંથી કાચો માલ મેળવે છે અને પછી પોતાના દેશમાં ફિનિશ પ્રોડક્ટ્સ બનાવે છે.
ભારત બાંગ્લાદેશથી માત્ર કાપડની ચીજવસ્તુઓ જ નહીં પરંતુ જ્યુટ, રબર, ખાદ્ય તેલ અને વનસ્પતિ તેલની પણ આયાત કરે છે. સાથે જ ભારત પણ ઘણી નિકાસ કરે છે. આમાં ચોખા, કપાસ, સુતરાઉ કાપડ, ઘઉં અને ઘઉંના ઉત્પાદનો, મસાલા, શાકભાજી, ખાંડ, ફળો અને અન્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં બાંગ્લાદેશને ૧૨૨૦ કરોડ ડોલરની વસ્તુઓની નિકાસ કરી છે.
બાંગ્લાદેશથી ભારતમાં આવતા માલની વાત કરો તો નાણાકીય વર્ષ ૨૯૨૩-૨૪માં લગભગ ૨.૯૨ અબજ ડોલરની કિંમતની ૧૧૫૪ અલગ અલગ વસ્તુઓની આયાત કરવામાં આવી હતી, જ્યારે આ પહેલાના નાણાકીય વર્ષમાં આ આંકડો માત્ર ૧.૯૭ અબજ ડોલર હતો.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના મજબૂત સંબંધોનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બંને દેશોએ ભારતીય રૂપિયામાં વેપાર શરૂ કરવાનું મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું હતું. ભારતમાં ત્રીજી વખત મોદી સરકાર આવ્યા બાદ બાંગ્લાદેશના પૂર્વ પીએમ શેખ હસીનાએ ભારતની મુલાકાત લીધી હતી અને ૨૨ જૂને તેઓ પીએમ મોદીને પણ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન ઘણા કરારો પણ થયા હતા. આમાં બંને દેશો વચ્ચે રૂપિયાના વેપારનો પણ સમાવેશ થતો હતો.