વકફ બૉર્ડનું નિયંત્રણ કરતા કાયદામાં સૂચિત ફેરફાર માટે લોકસભામાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે. જોકે, બિલની ટીકા તે પહેલેથી જ શરૂ થઈ ગઈ હતી.
આરોપ લગાવવામાં આવે છે કે આ સુધારાને કારણે એવા લોકો સંપત્તિના માલિક બની શકે છે જેમની સામે વકફની સંપત્તિ પર અતિક્રમણ કરવાનો આરોપ લાગ્યો હોય. આ ઉપરાંત આ સુધારાને કારણે પરોપકાર અને દાનની પ્રવૃત્તિ અને તેના ઉદ્દેશોને નબળા પાડી શકે છે.
વકફ કાયદાનું નામ બદલીને “સંકલિત વકફ વ્યવસ્થાપન, સશક્તીકરણ, કાર્યક્ષમતા અને વિકાસ કાયદો” એવું નામ રાખ્યું છે.
કેટલાક જાણકારો માને છે કે સૂચિત ફેરફારો આ કાયદાનાં નામ સાથે મેળ ખાતા નથી.
લધુમતી બાબતોના મંત્રાલય તરફથી પ્રસ્તાવિત સુધારા બિલની નકલ દરેક સંસદસભ્યને આપવામાં આવી છે.
સરકારનો પક્ષ છે કે આ સુધારો “કાયદામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે અને વકફની સંપત્તિઓનું વ્યવસ્થાપન અને સંચાલન”ને સુધારવા માટે જરૂરી છે.
સરકારની આ રૂચી વકફની અંદર આવતી અઢળક સંપત્તિઓ પર પણ ઇશારો કરે છે.
વકફ પાસે 8 લાખ 72 હજાર સંપતિ છે તથા ૩ લાખ ૫૬ હજાર જેટલી મિલ્કતો છે, જે કુલ ૯ લાખ ૪૦ હજાર એકર જમીન પર ફેલાયેલી છે.
સંરક્ષણ મંત્રાલય અને ભારતીય રેલવે પછી સૌથી વધારે સંપત્તિ વકફ હેઠળ છે.
આ ત્રણ સંસ્થા પાસે દેશમાં સૌથી વધારે જમીનોનો માલિકી હક છે.
છેલ્લાં બે વર્ષોમાં દેશની અલગ-અલગ હાઇકોર્ટમાં વકફ સાથે જોડાયેલી લગભગ ૧૨૦ અરજીઓ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આ કાયદામાં સુધારાઓ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
કોર્ટમાં થયેલી અરજીઓમાં વકફ કાયદાની કાયદેસરતાને પડકાર આપવામાં આવ્યો હતો કે જૈન, શિખ અને બીજી લઘુમતી સહિત બીજા ધર્મોમાં આવો કાયદો લાગુ નથી.
વકીલ અશ્વિની ઉપાધ્યાયે બીબીસીને જણાવ્યું, “ધાર્મિક આધારે કોઈ ટ્રિબ્યૂનલ ન રહી શકે. ભારત એવું રાષ્ટ્ર ન બની શકે જ્યાં બે કાયદાઓ હોય. અહીં એક દેશ અને સંપત્તિ માટે એક કાયદો હોવો જોઈએ. ન્યાયાલયમાં દાખલ કરવામાં આવેલી ૧૨૦ અરજીઓ પૈકી ૧૫ અરજી મુસ્લિમોએ દાખલ કરી છે. તેના પ્રમાણે દાન અને પરોપકાર જેવાં કામો ધર્મના આધારે ન થવાં જોઈએ.”
રાજકીય વિશ્લેષક કુર્બાન અલી આ સુધારાને “વકફની મુખ્ય જમીન પર સરકારી કબજાના પ્રયાસ” તરીકે જુએ છે.
તેમણે કહ્યું, “આ માત્ર અને માત્ર હિન્દુ મતદારોને ખુશ કરવા માટે છે. હા, વર્તમાન વકફ કાયદામાં ખામીઓ છે અને વકફ બૉર્ડ સાથે જોડાયેલ ઘણાં એકમોમાં ભ્રષ્ટાચારની વાતને પણ નકારી ન શકાય. આ એકમોનું સંચાલન પણ યોગ્ય રીતે નથી થઈ રહ્યું.”
વકફ અધિનિયમમાં પ્રસ્તાવિત ૪૪ સુધારામાં પહેલાંથી જ કેટલાંક નાનાં શહેરો, કસબાઓમાં ખાસ કરીને ઉત્તર ભારતનાં રાજ્યોમાં વકફ બોર્ડને ખતમ કરવાની માંગણી સાથે વિરોધપ્રદર્શન જોવાં મળ્યાં હતાં.
મોટા ફેરફારો શું છે ?
વકફ કોઈ પણ ચલ અને અચલ સંપત્તિ હોય છે જેને ઇસ્લામમાં માનનાર વ્યક્તિ અલ્લાહના નામે ધાર્મિક કે પરોપકારના ઇરાદા સાથે દાન કરે છે.
આ સુધારા બિલનાં “ઉદેશ્ય અને કારણો” પ્રમાણે ઓછાંમાં ઓછાં પાંચ વર્ષથી ઇસ્લામ ધર્મ પાળતી કોઈ પણ વ્યક્તિ જેની પાસે જમીનની માલિકી હોય તે વકફને સંપત્તિ દાન કરી શકે છે.
પ્રસ્તાવિત સુધારા હેઠળ ઍડિશનલ કમિશનર પાસેથી વકફની વર્તમાન જમીનના સર્વે કરવાનો અધિકાર પાછો ખેંચવામાં આવ્યો છે. આ જવાબદારી હવે જિલ્લા કલેકટર કે ડેપ્યુટી કમિશનરને આપવામાં આવી છે.
કેન્દ્રિય વકફ પરિષદ અને રાજ્ય સ્તરે વકફ બૉર્ડમાં બે બિન-મુસ્લિમ પ્રતિનિધિ રાખવાની જોગવાઈ આ પ્રસ્તાવિત સુધારામાં કરવામાં આવી છે.
નવા સુધારા હેઠળ વોહરા અને આગાખાની સમુદાય માટે અલગ વકફ બૉર્ડની સ્થાપનાની પણ વાત કરવામાં આવી છે.
વકફની નોંધણી સૅન્ટ્રલ પોર્ટલ અને ડેટાબેઝ વડે કરવામાં આવશે. આ પોર્ટલ થકી ‘મુતવલ્લી’ એટલે કે વકફની સંપત્તિની દેખરેખ કરનાર ખાતાઓની જાણકારી આપવી પડશે. આ ઉપરાંત વાર્ષિક પાંચ હજારથી ઓછી આવક વાળી સંપત્તિ માટે મુતવલ્લીની તરફથી વકફ બૉર્ડને આપવામાં આવતી રકમને સાત ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધી.
કોઈ સંપત્તિ વકફની હેઠળ આવે કે ન આવે તેના નિર્ણય કરવા માટેનો અધિકાર વકફ પાસેથી પાછો ખેંચી લીધો છે. નવી જોગવાઈ હેઠળ વર્તમાન ત્રણ સભ્યોવાળી વકફ ટ્રીબ્યૂનલને પણ બે સભ્યો સુધી જ સીમિત કરવામાં આવી છે. જોકે, આ ટ્રીબ્યૂનલના નિર્ણયને અંતિમ નિર્ણય માનવામાં નહીં આવે અને ૯૦ દિવસની અંદર ટ્રીબ્યૂનલના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારી શકાશે.
નવા બિલમાં સીમા અધિનિયમને લાગુ કરવા માટેની જરૂરિયાતને દૂર કરવાની જોગવાઈ છે. આનો અર્થ છે કે જે લોકોએ વકફની જમીન પર અતિક્રમણ કર્યું છે અથવા ૧૨ વર્ષથી વધારે સમયથી કબજો કર્યો છે તે લોકો આ સુધારાના આધારે જમીનના માલિક બની શકે છે.