પશ્ચિમ બંગાળનાં કોલકાતાની આર.જી.કર મેડિકલ કૉલેજમાં મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ કરાયા બાદ હત્યાના વિરોધમાં દેશભરમાં રોષ ભભુક્યો છે. વિવિધ રાજ્યોમાં ડૉક્ટરો અને મેડિકલ કર્મચારીઓ ઘણાદિવથી આંદોલન સાથે ભારે દેખાવો કરી રહ્યા છે, ત્યારે હવે સુપ્રીમ કોર્ટે આ કેસ સાંભળવાનો નિર્ણય કર્યો છે.
સુપ્રીમ કોર્ટ ના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડ, ન્યાયાધીશ જે.પી.પારદીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાની બેંચ મંગળવારે ૨૦મી ઓગસ્ટે આ કેસની સુનાવણી કરશે. આમ તો મંગળવારે સુનાવણી થનારા કેસોની યાદીમાં આ કેસ ૬૬માં નંબરે છે. જોકે આ કેસનો પ્રથમ પ્રાથમિકતા આપી પહેલા સુનાવણી કરાશે.
નવમી ઓગસ્ટે મહિલા ટ્રેની ડૉક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ભયાનક અને શરમજનક ઘટના બની હતી. ત્યારબાદ આ મામલે દેશભરમાં આક્રોષ અને ડૉક્ટરો-મેડિકલ કર્મચારીઓ હડતાળ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ૧૭મી ઓગસ્ટે એક અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ મુખ્ય ન્યાયાધીશને મોકલાયેલા આ પત્રની અરજીમાં સુપ્રીમ કોર્ટને આ ઘટના અંગે સુઓ મોટુ સંજ્ઞાન લેવાની વિનંતી કરાઈ હતી.
અરજદારે આર્મી કૉલેજ ઑફ ડેન્ટલ સાયન્સિઝ, સિકંદરાબાદની બીડીએસ ડૉ.મોનિકા સિંહના વકીલ સત્યમ સિંહે કોર્ટને વિનંતી કરી છે કે, આરજી કર મેડિકલ કૉલેજમાં અસામાજિક તત્વોએ 14મી ઓગસ્ટે કરેલા હુમલાની પણ નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. આ ઉપરાંત અરજી પેન્ડિંગ રહે ત્યાં સુધી કૉલેજ અને કર્મચારીઓની સુરક્ષા માટે કેન્દ્રીય દળ પણ તહેાત કરવાનો આદેશ આપવાનો અનુરોધ કરાયો છે.
બનાવની વિગત એવી છે કે, પશ્ચિમ બંગાળના કોલક્ત્તાની આર.જી. કર મેડીકલ કોલેજની રેસિડેન્ટ મહિલા ડોકટર પર બળાત્કાર અને હત્યાની ચકચારી ઘટના બની હતી, જેના રાષ્ટ્રવ્યાપી ઘેરાં પડઘા પડયા છે. આ ઘટનાના વિરોધમાં પીડિત પરિવારને ન્યાય આપવા, દોષિતો સામે કડક કાર્યવાહી કરવા તેમજ આરોગ્ય કર્મચારીઓ વિરુદ્ધ થતી હિંસાની તપાસ કરવા માટે કાયદો બનાવવા સહિતની માંગ કરવામાં આવી રહી છે.