હોળીનાં પ્રાગટય સમયે પવનની દિશા પરથી વરતારો કરવામાં આવતો હોય છે.
જો પવન પૂર્વનો હોય તો રાજા-પ્રજામાં સુખની પ્રાપ્તિ થાય છે. અગ્નિકોણમાં હોય તો અગ્નિ ભય રહે, દક્ષિણમાં હોય તો દુભક્ષ, નૈત્યમાં હોય તો તીડનો ઉપદ્રવ થાય, પશ્ચિમમાં હોય તો મધ્યમ સુભિક્ષ, વાયવ્યનો હોય તો વાયુનું જોર વધે, ઉત્તર અને ઇશાનનો હોય તો સુભિક્ષ તથા પ્રજા સુખી થાય છે. સાથે જ હોળીને લગતા ભડલી વાક્યો પણ જોવા મળતાં હોય છે. જે અંતર્ગત એવું છે કે પશ્ચિમનો વાયુ ઉત્તમ ફળ આપે, પૂર્વનો વાયુ થોડું સૂકું અને થોડું વરસાદ આપનારું વર્ષ આપે, દક્ષિણનો વાયુ પશુધનનો નાશ કરનારો રહે, ઉત્તરનો પવન ખૂબ વરસાદ આપે, ચારે કોરનો પવન હોય તો પ્રજા દુઃખી થાય અને રાજા ઝૂર્યા કરે. પવન આકાશ તરફ જાય તો પૃથ્વી પર યુદ્ધની શક્યતા. આ ઉપરાંત, હોળીનાં દિવસે જો વાદળા હોય, વરસાદ ગાજતો હોય અથવા વરસાદ થાય તો ધાન્યનો સંગ્રહ કરવાથી સાતમા મહિને સારો લાભ થાય. હોળીનાં પ્રાગટય સમયે વાદળા હોય તો રોગચાળાથી ઘઉંનો પાક નષ્ટ થાય, ભાવોમાં તેજી આવે.