૧૭૦૦૦ લોકોના સુરક્ષિત સ્થળે ખસેડાયા, હજુ ૭૨ કલાકનું એલર્ટ.
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં ૧૫ લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે ૧૭૦૦૦ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજાની તબાહી છતાં હવામાન ખાતાએ હજુ ૭૨ કલાકનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આવતીકાલ માટે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. અતિવૃષ્ટિની સાથે આ જિલ્લાઓમાં ૪૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળીના ચમકારાની પણ શક્યતા છે, જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ અપાઈ છે.
ગુજરાતમાં આગામી ૭૨ કલાક ભારે વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગના વિજ્ઞાની રામાશ્રય યાદવે ગુજરાતમાં આગામી ૭૨ કલાક ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતની આસપાસ વરસાદના ત્રણ સિસ્ટમ સક્રિય થયા છે. ગઈકાલે અરબી સમુદ્રનું ડીપ ડિપ્રેશન ડીસાથી ૯૦ કિલોમીટર દૂર હતું, જોકે તે આગળ વધીને પાટણથી ૧૦ કિલોમીટર અને ડીસાથી ૫૦ કિલોમીટર દૂર પહોંચી ગયું છે. આ ડીપ ડિપ્રેશન ૨૯ ઓગસ્ટ સુધીમાં ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર એટલે કે કચ્છનો અખાત તરફ આગળ વધશે, જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આવતીકાલે રાહત મળવાની સંભાવના
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત વરસાદ પડવાના કારણે અનેક સ્થળે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે, તો અનેક અંડરપાસ બંદ કરવાની પણ નોબત આવી છે. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં સૂર્ય દેવતાના દર્શન થયા નથી, જેના કારણે તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જોકે આગાહી મુજબ આવતીકાલે અમદાવાદમાં વરસાદ પડવાની સ્થિતિમાં રાહત મળવાની સંભાવના છે.
આ વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની સંભાવના
હવામાન વિભાગની આગાહી મુજબ વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, કચ્છમાં વીજળીના કડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
૪૩૩ ST, ૨૨ સ્ટેટ હાઈવે, ૬૩૬ રસ્તાઓ બંધ
ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડવાના કારણે અનેક મુસાફરોએ પણ હાલાકી ભોગવવી પડી છે. અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિના કારણે ૨૨ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણ ટ્રેનોને પણ અસર થઈ છે. રાજ્યમાં અનેક રસ્તાઓ નદીઓ બનતા ૪૩૩ એસટી બસો રદ કરવામાં આવી છે, જેના કારણે ૨૦૮૧ ટ્રિપ રદ થઈ ગઈ છે. સૂરત, વલસાડ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, આણંદ, ખેડા સહિત અનેક જિલ્લાઓમાં મોટાભાગની એસટી સેવા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં એક નેશનલ હાઈવે, ૩૩ સ્ટેટ હાઈવે, ૪૪ અન્ય, ૫૫૭ પંચાયત સહિત કુલ ૬૩૬ રસ્તાઓ બંધ કરવા પડ્યા છે.
વડોદરામાં ૩૦ ટ્રેનો રદ, શહેરોમાં મઘરો ઘૂસ્યા
વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને તેની આસપાસના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ૩૦ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે આણંદ અને ગોધરા થઈને અમદાવાદ તરફ ૩૬ ટ્રેનો આવી રહી છે. વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરોનો વસવાટ છે.
જ્યારે પણ ભારે વરસાદના લીધે નદીના પાણી શહેરમાં ઘૂસે છે. ત્યારે મગરો શહેરના માર્ગો પર જોવા મળે છે. હાલમાં મગરોની વચ્ચે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેક્સ્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.