મુંબઈ. એનસીપી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)ને રવિવાર મોડી સાંજે અચાનક તબીયત બગડ્યા બાદ બ્રીચ કેન્ડી હૉસ્પિટલ (Breach Candy Hospital) માં લઈ જવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક (Nawab Malik)એ આ વાતની જાણકારી આપતાં કહ્યું કે શરદ પવારના પેટમાં અચાનક દુખાવો થયો, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. વરિષ્ઠ ડૉક્ટરોની દેખરેખ હેઠળ શરદ પવારની તપાસ કરવામાં આવી રહી છે.
શરદ પવારની તબીયત વિશે માહિતી આપતા નવાબ મલિકે જણાવ્યું કે, તબીબી તપાસમાં જાણવા મળ્યું છે કે તેમના ગાલબ્લેડરમાં કેટલીક તકલીફ છે. તેઓએ જણાવ્યું કે શરદ પવાર લોહી પતળું કરવાની દવા લઈ રહ્યા હતા પરંતુ આ તકલીફ ઊભી થતાં તેઓએ દવા બંધ કરી દીધી છે. તેઓને હવે 31 માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવશે જ્યાં તેમની એન્ડોસ્કોપી અને સર્જરી કરવામાં આવશે.
નોંધનીય છે કે, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ની સાથે મુલાકાત કરવાના અહેવાલો બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. એક તરફ એનસીપીએ આ પ્રકારની કોઈ પણ મીટિંગના અહેવાલોને ફગાવી દીધા છે.
જ્યારે બીજી તરફ મહારાષ્ટ્રમાં એનસીપી અને શિવસેનાની સહયોગી પાર્ટી કૉંગ્રેસે આ મુલાકાત પર સવાલ ઊભા કર્યા છે. કૉંગ્રેસ નેતાઓએ પૂછ્યું છે કે જો ગૃહ મંત્રી દેશના કોઈ મોટા નેતાને મળી રહ્યા છે તો તે દેશને જણાવવું જોઈએ. આ જાણવું દેશની જનતાનો હક છે.