વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. સાથો સાથ કેટલીક મહત્વપૂર્ણ બેઠકોની અધ્યક્ષતા પણ કરશે. ત્યારે આ દિવસો દરમિયાન વડાપ્રધાન મોદીના કાર્યક્રમમો આ પ્રમાણે નિર્ધારિત કરાયા છે.
વડાપ્રધાન મોદી ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર સુધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા બાદ સાંજે ૦૪:૩૦ કલાકે વડસર એરફોર્સ સ્ટેશન જશે. જ્યાં નવા ઓપરેશન કોમ્પલેક્ષની મુલાકાત લેશે. ત્યાર બાદ સાંજે ૦૬:૦૦ વાગ્યે રાજભવન જશે જ્યાં રાત્રી રોકાણ અને બેઠકનું આયોજન કરાયું છે.
૧૬ સપ્ટેમ્બરનો કાર્યક્રમ
જ્યારે ૧૬ સપ્ટેમ્બરે વડાપ્રધાન સવારે ૧૦:૦૦ વાગ્યે મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રી-ઈન્વેસ્ટ રીન્યુએબલ એનર્જી સમિટની શરૂઆત કરાવશે. આ પછી બપોરે ૧૨:૦૦ વાગ્યે રાજભવન જશે. ત્યારબાદ બપોરે ૦૧:૩૦ વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપશે. અને સેક્ટર ૧ થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી કરશે. તો ૦૩:૩૦ વાગ્યે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે ભાજપ કાર્યકર સંમેલનમાં હાજરી આપશે. જ્યાં ૮ હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. સાંજે ૦૬:૦૦ વાગ્યે રાજભવન જશે.
૧૭ સપ્ટેમ્બરે ઓડિશા જવા રવાના થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સવારના ૦૯:૦૦ વાગ્યે ઓડિશાના ભુવનેશ્વર ખાતે જવા રવાના થશે.