થોડા મહિના પૂર્વે જ જીઓ અને બીજી અનેક ટેલિકોમ કંપની દ્વારા મોબાઈલ રિચાર્જમાં મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ત્યારે વોડાફોન આઈડિયા (Vi)એ ફરીથી મોબાઈલ રિચાર્જ પ્લાન મોંઘા થાય તે બાબતનો ઈશારો કર્યો છે. વોડાફોન આઈડિયા ચીફ એક્ઝિક્યુટિવ અક્ષય મુન્દ્રાએ જણાવ્યું હતું કે ટેરિફ પ્લાન આગામી ૧૫ મહિનામાં ટેલિકોમ સેક્ટર માટે ફરીથી મોંઘો બની શકે છે. જો આવું થાય છે, તો જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાના મોબાઈલ રિચાર્જ પ્લાન વધુ મોંઘા થઈ શકે છે.
૨૦૨૫ ના પાછલા મહિનાઓમાં ટેરિફમાં વધારો થાય તેવી આશા વ્યક્ત કરી છે. આવું થવા પાછળનું કારણ ટેલિકોમ સેક્ટર ઓપરેટરમાં રોકડ પ્રવાહને વેગ આપવાનું માનવામાં આવે છે. અક્ષય મુન્દ્રાએ જણાવ્યું હતું કે કંપનીએ જુલાઈમાં ટેરિફ પ્લાનમાં વધારો કર્યો હતો. જો કે હવે તેઓ આગામી વર્ષે ફરીથી કિંમત વધારવાનું વિચારી શકે છે.
આ વર્ષે જુલાઈ મહિનામાં રિલાયન્સ જિયોએ તેના ટેરિફમાં ૧૨ % થી ૨૫ % ની વચ્ચેનો વધારો કર્યો હતો. જીયો દ્વારા કરવામાં આવેલ વધારા બાદ તરત જ ભારતી એરટેલે તેની ટેરિફ ૧૧ % થી વધારીને ૨૧ % કરી દીધી હતી. આ બે કંપનીઓના ટેરિફના વધારાના એક દિવસ બાદ ૪ જુલાઈ, ૨૦૨૪ના રોજ, Viએ મોબાઈલ ટેરિફમાં ૧૦-૨૩ % નો વધારો કર્યો. મોંઘા રિચાર્જ પ્લાનને કારણે ગ્રાહકોએ જીયો, એરટેલ અને વોડાફોન આઈડિયાથી પોતાને દૂર કર્યા છે. એક વિકલ્પ તરીકે BSNL ને પણ જોઈ રહ્યા છીએ.
વોડાફોન આઈડિયા એ સેમસંગ, નોકિયા અને એરિક્સન સાથે એક મોટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે, જે અંતર્ગત આગામી ત્રણ વર્ષમાં ૪જી નેટવર્કનું વિસ્તરણ કરવામાં આવશે. ઉપરાંત, ૫જી નેટવર્ક રોલઆઉટ કરવામાં આવશે. મુન્દ્રાએ કહ્યું કે ૪જી અને ૫જી સાધનોની ડિલિવરી ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે જણાવ્યું કે વોડાફોન-આઈડિયાને ૧૭ સર્કલમાં ૫જી સ્પેક્ટ્રમ છે. આવી સ્થિતિમાં, વોડાફોન આઈડિયા તમામ સર્કલમાં ૫જી લોન્ચ કરશે.