ગુજરાતમાં હવામાનને લઇ અંબાલાલ પટેલે તાજેતરમાં આગાહી કરી છે. જેમાં તેઓએ ૧૨ ઓક્ટોબર સુધી રોજ મોટો પલટો આવશે અને ગુજરાતના કોઈ કોઈ ભાગમાં હળવો વરસાદ થવાની આગાહી કરી હતી.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી નૈઋત્યનું ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. બીજી બાજુ ઓડિશા, આસામ, મેઘાલય, તટીય કર્ણાટકના વિસ્તારો, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદ થયો છે. આવી પરિસ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં બદલાવ થશે અને વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હાલ વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી
આગાહી દરમિયાન અંબાલાલ પટેલે જણાવ્યું હતુ કે સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાં બંગાળના ઉપસાગરમાં બનતાં હોય છે. પરંતુ ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં અરબ સાગરમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. ૨ ઓક્ટોબર સુધીમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને ૧૨ થી ૧૮ ઓક્ટોબરના વાવાઝોડું સક્રિય થવાની શક્યતા છે.
આ વાવાઝોડાનો માર્ગ ઓમાન તરફ રહેતો હોય છે. પરંતુ ઓમાન તરફનો માર્ગ રહેવાની શક્યતા ઘટી છે. પરંતુ જેટ ધારાના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્ર માર્ગ થઈને કચ્છના ભાગોમાં થઈ પાકિસ્તાન તરફનો માર્ગ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં ૨૨ ઓક્ટોબરથી વાવાઝોડું સક્રિય થશે અને વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. જોકે જાણ્યા અજાણ્યા કારણે વાવાઝોડાં બન્યા કરશે.
જોકે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ૧૩ મી તારીખ સુધીમાં ક્યાંય પણ ભારે વરસાદની કોઈ આગાહી નથી. આખા રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવરાત્રિમાં વરસાદ ન પડવાના કારણે હાલ તો ખેલૈયાઓ આનંદથી ગરબે ઝૂમી રહ્યા છે.