‘હરિયાણાના લોકોએ કમળ-કમળ કરી દીધું’
હરિયાણામાં ભાજપે અનેક પડકારોનો સામનો કરી મોટી જીત હાંસલ કરી છે. હરિયાણાના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે. સતત ત્રીજી વખત જીત મળતાં ભાજપના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કરી હરિયાણાના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત તેઓ રાત્રે 8 વાગ્યે દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ભાજપના કાર્યકરોને સંબોધિત કરવા માટે પહોંચ્યા છે. અહીં વડાપ્રધાન મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું.
ભાજપના મુખ્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓએ વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાને કાર્યકર્તાઓનું અભિવાદન જીલ્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો. હરિયાણા તેમજ જમ્મુ કાશ્મીરની જનતા અને કાર્યકરોઓનો તેમણે આભાર વ્યક્ત કર્યો. આ દરમિયાન વડાપ્રધાન ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, હરિયાણાના લોકોએ કમાલ કરી દીધી. હરિયાણાના લોકોએ કમળ-કમળ કરી દીધું.
‘આજે નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે, માં કાત્યાયનીની આરાધનાનો દિવસ છે. આ ગીતાની ધરતી પર સત્ય, વિકાસ અને સુસાશાનની જીત છે. જમ્મુ કાશ્મીરમાં દાયકાઓ બાદ શાંતિપૂર્ણ ચૂંટણી અને મતગણતરી થઈ છે. આ લોકશાહીની જીતને દર્શાવે છે. હું નેશનલ કોન્ફરન્સને શુભેચ્છા પાઠવું છું.’
હરિયાણાની રચના બાદ દર પાંચ વર્ષમાં સરકાર બદલાય છે. એવું પહેલીવાર થયું છે કે પાંચ વર્ષના બે કાર્યકાળ પૂરા કરનારી પાર્ટીને ત્રીજી વખત જનતાએ મત આપ્યો. આવું પહેલીવાર થયું. એવું લાગે છે કે હરિયાણાના લોકોએ ‘છપ્પર ફાડકર’ને વોટ આપ્યા.
દિલ્હી ભાજપ હેડક્વાર્ટર પરથી કાર્યકર્તાઓને સંબોધિત કરતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે, 23 વર્ષથી નરેન્દ્ર મોદી સેવા કરી રહ્યા છે. હરિયાણાના પરિણામોએ જણાવી દીધું કે તેમનો પરિશ્રમ એળે નથી ગયો. જે સમર્પણ ભાવથી દેશનું ભાગ્ય બદલવાનો પ્રયાસ કર્યો છે, તેને સૌએ જોયો છે. ‘મોદી હે તો મુમકિન હે
નડ્ડાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, જનતાએ કોંગ્રેસની નીતિઓને નકારી દીધી. જ્યાં કોંગ્રેસ છે ત્યાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપ્યું, જ્યારે ભાજપે આના પર લગામ લગાવવાનો પ્રયાસ કર્યો. ભાજપ સરકાર રિપોર્ટ કાર્ડ આપે છે. કોંગ્રેસના જૂઠને હરિયાણાની જનતાએ નકારી દીધું છે.