અહીં તમને કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે પેકેટ ઘી અસલી છે કે નકલી.
ઘી ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા અને વાળ માટે પણ રામબાણ ઇલાજ છે. આ જ કારણ છે કે ઘરોમાં ઘી નો ભરપૂર ઉપયોગ થાય છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીરને પોષણ આપે છે.
ભેળસેળયુક્ત ઘી નુકસાન પહોંચાડી શકે છે
દેશમાં અત્યારે તહેવારોની મોસમનો માહોલ છે, જેના કારણે ઘી નો વપરાશ પહેલા કરતા અનેકગણો વધી જાય છે. બજારમાં દેશી ઘી ના નામે નકલી ઘી કે એમ કહો કે ભેળસેળયુક્ત ઘી નું બેફામ વેચાણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં તે લાભને બદલે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.
ઘરે અસલી ઘી ને કેવી રીતે ઓળખવું
જોકે ઘી ઘરે જ તૈયાર કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જો તમે તેને તમારા ઘરે બનાવી શકતા નથી અને બજારમાંથી પેકેટ ઘી ખરીદીની લાવો છો તો તેને ઓળખી કરો કે તે અસલી છે કે તેમાં કોઈ ભેળસેળ કરી છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે પેકેટ ઘી અસલી છે કે નકલી.
પાણીના ટેસ્ટથી અસલી ઘી ને ઓળખો
તમે પાણીના ટેસ્ટથી ઘીને સરળતાથી ઓળખી શકો છો. આ માટે સૌથી પહેલા તમારે એક કપમાં પાણી લેવું પડશે. હવે તેમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જો કપમાં ઉપર ઘી તરતું હોય તો તે અસલી છે, પરંતુ જો તેમ ન થાય અને તે નીચે જઈને બેસી જાય તો તે નકલી ઘી હશે. તેને ખાવાથી બચવું જોઈએ, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
હાથ પર રાખીને કરો ટેસ્ટ
તમે તમારી હથેળીઓ પર રાખીને પણ અસલી અને નકલી ઘી નો ટેસ્ટ કરી શકો છો. આ માટે સૌથી પહેલા અડધી ચમચી ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને લગભગ એક મિનિટ રાહ જુઓ. હથેળી પર રાખેલું ઘી ઓગળવા લાગે તો તે અસલી છે, પરંતુ જો તેમાં કોઈ ફેરફાર નહીં થાય તો તે નકલી હશે.
રંગ દ્વારા ઓળખો
આ ટેસ્ટ માટે ઘી ને વાસણમાં મુકી ગરમ કરો. આ પહેલા ઘીનો કલર ચેક કરી લો. ગરમ કર્યા બાદ ઘી ના રંગમાં ફેરફાર થશે તો તે નકલી હશે. જો કે ઘી પહેલા જેવું જ રહે તો તે અસલી ઘી છે.