૩ વખતના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
દિલ્હીના છતરપુરથી ત્રણ વખત ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા બ્રહ્મસિંહ તંવર આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. દિવાળીના અવસર પર તેમણે ભાજપ સાથેનો છેડો ફાડીને આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. બ્રહ્મસિંહ તંવર ૧૯૯૩, ૧૯૯૮ માં મહેરૌલી અને ૧૦૧૩ માં છતરપુરથી ભાજપની ટિકિટ પર ધારાસભ્ય રહી ચૂક્યા છે. બ્રહ્મસિંહ તંવર ગુર્જર નેતા તરીકે ઓળખાય છે.
છતરપુરથી આમ આદમી પાર્ટી ધારાસભ્ય કરતાર સિંહ તંવર આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આમ આદમી પાર્ટી બ્રહ્મસિંહ તંવરને છતરપુર વિધાનસભાથી ટિકિટ આપી શકે છે.
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ બ્રહ્મ સિંહ તંવરે જણાવ્યું હતુંકે, ‘આજે મેં ભાજપ સાથે સંબંધ તોડીને આમ આદમી પાર્ટી સાથે કામ કરવાનું મન બનાવી લીધું છે. અરવિંદ કેજરીવાલનો ઉત્સાહ અને વિકાસ જોઈને હું તેમની સાથે જોડાયો છું. અરવિંદ કેજરીવાલ જી તમારો આભાર.’
બ્રહ્મસિંહ તંવરના પક્ષમાં જોડાવા અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘આજે આમ આદમી પાર્ટી માટે ખૂબ જ ખુશીનો દિવસ છે. બ્રહ્મસિંહજી એક મોટો ચહેરો છે. તેઓ ૫૦ વર્ષથી જનતાની સેવા કરી રહ્યા છે. તેઓ ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપ છોડીને જોડાયા છે. આમ આદમી પાર્ટીનું કામ જોઈને લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી માત્ર ૧૨ વર્ષની છે, પરંતુ દિલ્હી બાદ પંજાબમાં પણ સરકાર બનાવી છે. આ પાર્ટીમાં મોટા મોટા નેતાઓ જોડાઈ રહ્યા છે. તેનું કારણ આમ આદમી પાર્ટીની સરકારનું કામ છે.’