કેન્દ્ર સરકારે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સંસદમાં રજૂ કરવાની ફરી તૈયારીઓ કરી દીધી છે. મળતા અહેવાલો મુજબ સરકાર આ સત્ર અથવા આગામી સત્ર દરમિયાન આ વિધેયક રજૂ કરી શકે છે. વિધેયકને સંયુક્ત સંસદીય સમિતિ પાસે વિસ્તૃત ચર્ચા કરવા માટે મોકલવામાં આવી શકે છે. રામનાથ કોવિંદ સમિતિએ વિધેયક અંગે તૈયાર કરેલા રિપોર્ટને પહેલાં જ કેબિનેટની મંજૂરી મળી ચુકી છે.
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે, આ વિધેયક પર સર્વસંમતિ મળે અને તમામ હિતધારકો સાથે વિગતવાર ચર્ચા થવી જોઈએ. JPC તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત તમામ રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોને પણ બોલાવવામાં આવી શકે છે. દેશભરના બૌદ્ધિકો અને સામાન્ય લોકોના મંતવ્યો પણ લેવાશે. એક દેશ એક ચૂંટણીના ફાયદાઓ તેમજ તેનું સંચાલન કરવાની રીત પર વિસ્તારથી ચર્ચા કરાશે. સરકારને આશા છે કે, આ વિધેયક પર સર્વસંમતિ સધાઈ જશે.


શમાં છાશવારે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ થતી જ રહે છે. વારંવારની ચૂંટણીઓ વિકાસને અવરોધે છે. તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાનો આગ્રહ કરી રહ્યા છે. વડાપ્રધાને આ વર્ષે ૧૫ ઑગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન લાલ કિલ્લા પરથી આપેલ ભાષણમાં પણ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ની હિમાયત કરી હતી. તેમણે દેશના તમામ રાજકીય પક્ષોને દેશની પ્રગતિ માટે આ દિશામાં આગળ વધવાનો અનુરોધ કર્યો હતો.
એક દેશ, એક ચૂંટણી’ના ફાયદા
૧. ખર્ચમાં ઘટાડો : ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’નો સૌથી મોટો ફાયદો એ છે કે એનાથી ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે. અલગ-અલગ ચૂંટણીઓ કરાવવા માટે દર વખતે મોટી રકમ ખર્ચવામાં આવે છે. એક સમયે આખા દેશમાં ચૂંટણીઓ પતી જાય તો ખર્ચ પણ એક જ સમયે કરવાનો થાય.
૨. તંત્રનો બોજ ઘટશે : વારંવારની ચૂંટણી પ્રશાસન અને સુરક્ષા દળો પર બોજ નાખે છે, કારણ કે તેમને દરેક વખતે ચૂંટણી ફરજ બજાવવાની હોય છે. ચૂંટણી કર્મચારીઓના રહેવા-ખાવાની, એમના આવાગમનની ઝંઝટ પણ એક વારમાં જ પતી જશે.
૩. વિકાસના કામો પર ધ્યાન અપાશે : એકીસાથે ચૂંટણી પૂરી થઈ જાય તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. પક્ષો વારંવાર ચૂંટણી મોડમાં નહીં જાય અને વિકાસના કામો પર ધ્યાન આપી શકશે.
૪. મતદારોની સંખ્યા વધશે : એક જ દિવસે ચૂંટણી યોજવાથી મતદારોની સંખ્યામાં પણ વધારો થશે, કારણ કે તેમને એવું નહીં લાગે કે ચૂંટણી તો વારેવારે આવતી જ રહે છે, આ નહીં તો આગામી ચૂંટણીમાં મત આપીશું. પાંચ વર્ષે એક જ વખત મત આપવાની તક મળતાં મતદારો એને એળે નહીં જવા દે અને તેમના પ્રતિનિધિઓને ચૂંટવામાં રસ દાખવશે.
‘એક દેશ, એક ચૂંટણી’ સામેના પડકાર
૧. બંધારણીય ફેરફાર જરૂરી : ‘વન નેશન-વન ઈલેક્શન સિસ્ટમ’ લાગુ કરવામાં સૌથી મોટો પડકાર બંધારણ અને કાયદામાં ફેરફારનો છે. બંધારણમાં સુધારો કર્યા પછી તેને રાજ્યની એસેમ્બલીઓમાં ‘પાસ’ કરાવવો પડશે.
૨. સરકાર ભંગ થઈ તો શું? : જો કોઈપણ કારણોસર લોકસભા કે પછી કોઈ રાજ્યની વિધાનસભા ભંગ કરી દેવામાં આવે તો પછી ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ વ્યવસ્થા કેવી રીતે જાળવવી? એક રાજ્યની સરકાર બરતરફ થાય એટલે તમામ રાજ્યોની સરકારો રદ કરીને ફરી આખા દેશમાં ચૂંટણીઓ તો ન યોજી શકાય ને?
૩. સંસાધનોની કમી : આપણા દેશમાં EVM અને VVPAT દ્વારા ચૂંટણી યોજવામાં આવે છે, જેની સંખ્યા મર્યાદિત છે. હાલમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજાતી હોવાથી જે સંસાધનો છે એટલામાં પહોંચી વળાય છે, પણ જો આખા દેશમાં એકીસાથે તમામ પ્રકારની ચૂંટણીઓ યોજાય તો ચૂંટણી માટે જરૂરી સંસાધનો ક્યાંથી લાવવા? વહીવટી અધિકારીઓ અને સુરક્ષા કર્મીઓની કમી પણ સર્જાય, એનું શું કરવું?
રાજકીય પક્ષોમાં અસંમતિનું કારણ
‘એક દેશ, એક ચૂંટણી’ માટે રાજકીય પક્ષોમાં સર્વસંમતિ સાધી શકાતી નથી, એનું મુખ્ય કારણ એ છે કે, રાજકીય પક્ષો એવું માને છે કે, આ પ્રકારે ચૂંટણીઓ યોજવાથી રાષ્ટ્રીય પક્ષોને ફાયદો થશે, પરંતુ પ્રાદેશિક પક્ષોને નુકસાન થશે. તેમનું કહેવું છે કે, ‘વન નેશન-વન ઈલેક્શન’ની વ્યવસ્થા કરવામાં આવશે તો રાષ્ટ્રીય મુદ્દાઓ સામે રાજ્ય સ્તરના મુદ્દાઓ ઢંકાઈ જશે, જેને લીધે રાજ્યોના વિકાસ પર પ્રતિકૂળ અસર પડશે. આ કારણસર મોટાભાગના પ્રાદેશિક પક્ષો ‘વન નેશન-વન ઈલેક્શન’ માટે તૈયાર નથી.
આઝાદી પછી એક સાથે ચૂંટણીઓ થઈ હતી
દેશ ૧૯૫૦ માં પ્રજાસત્તાક બન્યો એ પછી ૧૯૫૧ થી ૧૯૬૭ વચ્ચે દર પાંચ વર્ષે લોકસભાની સાથે જ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઈ હતી. વર્ષ ૧૯૫૨, ૧૯૫૭, ૧૯૬૨ અને ૧૯૬૭ માં આ રીતે એક સાથે ચૂંટણી યોજાઈ હતી. એ પછી કેટલાક રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવ્યું અને કેટલાક નવા રાજ્યો બનાવવામાં આવ્યા, જેના કારણે અલગ-અલગ સમયે ચૂંટણી યોજાવા લાગી.
આ દેશોમાં એકસાથે ચૂંટણીઓ યોજાય છે
અમેરિકા, ફ્રાન્સ, સ્વીડન, કેનેડા, જાપાન, દક્ષિણ આફ્રિકા, બેલ્જિયમ જેવા દેશોમાં વન નેશન-વન ઈલેક્શનની સિસ્ટમ અમલમાં છે. અમેરિકામાં પ્રમુખ, કોંગ્રેસ અને સેનેટ માટેની ચૂંટણી દર ચાર વર્ષે એક નિશ્ચિત તારીખે યોજાય છે.