રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના આકસ્મિક બીમારીનો ખર્ચ આવી પડે ત્યારે એક મધ્યમવર્ગ અને ગરીબનો પરિવાર ભાંગી પડે છે અથવા દેવાનો દાટ થાય છે, ત્યારે આરોગ્ય સહાય માટે “PMJAY-મા” યોજના ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં અમલી કરવામાં આવી છે. પરંતુ તેમાં પણ ખ્યાતિકાંડ જેવા મોટા કૌભાંડો સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે પરંતુ ઘણું મોડું થઇ ગયું છે. તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવા જેવો ઘાટ સર્જાયો છે.
આ યોજનામાં જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલ્બધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે. જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જીલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ડે-કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે.
કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઇમ્પલાન્ટ(હીયરીંગ એઇડ) સહિતની અન્ય જટીલ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાર્થીને મળવાપાત્ર છે.
ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICU ની સુવિધા મળી રહેતે હેતુથી “ચિરંજીવી યોજના” અને “બાલસખા યોજના”ના લાભોને પણ “PMJAY-મા. – મા” યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.
PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે ૯૭ લાખ કુટુંબો/ ૨.૬૫ કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઇને અંદાજીત ૯૦૦ થી વધુ ખાનગી તથા ૧૫૦૦ થી વધુ સરકારી હોસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહ્યાં છે.
ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો તથા ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબધિત ફરિયાદોને કારણે વર્ષ ૨૦૨૪ માં અત્યાર સુધીમાં કુલ ૧૪ થી વધુ હોસ્પિટલ ગેરરીતિ બદલ સસ્પેન્ડ, ડિએમ્પેલ્ડ, અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે. અમુક કિસ્સાઓમાં ડોકટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કરવા ઉપરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા પણ જરૂરી પગલા લેવાની ફરજ પડી છે.
રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોના બનાવની વિગતો ધ્યાને આવતા જરૂરી પગલા રાજ્ય કક્ષાએથી પણ લેવામાં આવેલ છે જેમાં રાજ્ય સરકારે વિવિધ સ્પેશ્યાલિટીની સારવારમાં દર્દીના હીતને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના પેકેજ અને સારવારની ગાઇડલાઇનમાં સુધારા કરવામાં આવી છે. અર્ડિયોલોજી, રેડિયોલોજી, TKR/THR( ટોટલ ની રિપ્લેસમેન્ટ / ટોટલ હિપ રિપ્લેસમેન્ટ) અને નિયોનેટલની સેવાઓ માટેની નવી માર્ગદર્શિકા બનાવી છે.

