અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા યોજાઇ રહી છે. સવારે આરતી બાદ માતાજીની પાદુકા રથ પર વિરાજમાન કરાશે અને પછી રથ નગરયાત્રાએ નીકળશે. અમદાવાદવાસીઓએ અત્યાર સુધી નગરદેવતા એવા ભગવાન જગન્નાથની રથયાત્રાનો લહાવો લીધો છે પણ હવે અમદાવાદના નગરદેવી માતા ભદ્રકાળી પણ પોતાના ભક્તોને દર્શન આપવા આવ્યા છે.
૬૧૪ વર્ષમાં પહેલીવાર મા ભદ્રકાળી નગરચર્યાએ
મા ભદ્રકાળીના ભવ્ય પરિસરમાં ભક્તિમય માહોલ
વહેલી સવારથી ભક્તોમાં ભારે ઉત્સાહ, હાથમાં લાલ ધજા સાથે જયઘોષ
નગરયાત્રા માણેકચોક પહોંચી
મા ભદ્રકાળીની નગરયાત્રાના ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યા છે. અમદાવાદીઓ ઉમટી પડ્યાં છે. યાત્રા હાલમાં માણેકચોક પહોંચી ગયા છે જે વિસ્તાર અમદાવાદમાં ખાસ વખણાતા સ્થળોમાં સામેલ છે.
મા ભદ્રકાળીની રથયાત્રા ત્રણ દરવાજાથી આગળ વધી…
મા ભદ્રકાળીની રથયાત્રા શરુ થઇ ચૂકી છે અને તે ત્રણ દરવાજાથી આગળ પહોંચી ગઇ છે.
ભદ્રકાળીના મંદિરેથી રથનું પ્રસ્થાન…
અમદાવાદમાં ઐતિહાસિક મા ભદ્રકાળીની નગરયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. મા ભદ્રકાળીનું રથ નગરયાત્રા માટે પ્રસ્થાન કરી ચૂક્યું છે અને ભક્તો પણ રુટમાં ગોઠવાઈ ગયા છે. આજે ૧૨:૦૦ વાગ્યા સુધી અમદાવાદના ઘણા રસ્તાઓ બંધ રહેવાના છે.
ભદ્ર પરિસરમાં ભક્તિમય માહોલ
અમદાવાદના લાલ દરવાજામાં આવેલા ભદ્ર પરિસરમાં જયઘોષ સાથે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. અહીં ભક્તોના હાથમાં લાલ ધજા જોવા મળી રહી છે.
અમદાવાદના 614મા સ્થાપના દિવસ નિમિત્તે માતાજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે જે કોટ વિસ્તાર અને ખાસ કરીને માતાજીની હાજરી અને આસ્થાના કેન્દ્રો ગણાતાં વિસ્તારો પાસેથી પસાર થશે. મહત્ત્વની બાબત એ છે કે, માતાજીની મૂર્તિ સ્થાપિત હોવાથી માતાજીની પાવડીઓને રથમાં રાખવામાં આવી છે.
જગન્નાથજી મંદિરે વિરામ : આ યાત્રામાં નગરજનોને બુંદીનો પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. ત્રણ દરવાજાથી શરુ કરીને બાબા માણેકનાથ સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, મ્યુનિસિપલ કૉર્પોરેશન કચેરી, ખમાસા, પગથિયા થઈને માતાજીનો રથ જમાલપુર જગન્નાથજી મંદિર પહોંચશે. નગરદેવતાના મંદિરે વિરામ લેવામાં આવશે. ત્યારબાદ મહાલક્ષ્મી મંદિર અને અન્ય સ્થળે જઈને નીજ મંદિર પરત ફરશે.
મુઘલકાળમાં ભયથી યાત્રા બંધ થઈ હોવાની માન્યતા
જાણકારોના મતે અમદાવાદની સ્થાપના કરવામાં આવી અને ખાસ કરીને અહમદશાહ બાદશાહ દ્વારા તેને કોટની રાંગ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં ભદ્રકાળી માતાજીના મંદિરનો પ્રભાવ અકબંધ રહ્યો છે. તેમાંય મંદિર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, રાજા કર્ણદેવ દ્વારા મંદિર સ્થાપવામાં આવ્યું અને મુઘલકાળ આવ્યો ત્યાં સુધી દર વર્ષે માતાજીની યાત્રા નીકળતી હતી.
ત્યારબાદ કેટલાક કટ્ટર શાસકો દ્વારા આ યાત્રા બંધ કરી દેવાઈ. તે ઉપરાંત હિન્દુ અને જૈન સંપ્રદાયના સ્થાપત્યો, મંદિરો અને ઇતિહાસને ખૂબ જ નુકસાન કરવામાં આવ્યું. તેના પગલે મંદિરની યાત્રા પણ અટકી ગઈ હતી. ત્યારબાદ ક્યારેય માતાજીની નગરયાત્રા કાઢવાનો અવસર આવ્યો નહોતો કે કોઈએ પહેલ પણ કરી નહોતી.
આ યાત્રામાં અંદાજે ૫૦૦૦ માણસોનો ભંડારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત મહાશિવરાત્રીને ધ્યાનમાં રાખીને વિશેષ ફરાળી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય જે લોકો જોડાશે તે પ્રમાણે પ્રસાદ અને ભોજનની અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
શ્રી ભદ્રકાળી માતાજી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન- ત્રણ દરવાજા-પાનકોર નાકા-માણેક ચોક-ગોળ ગલીથી મ્યુનિસિપલ કોઠા- ગોળલીમડા-ખમાસા ચાર રસ્તા-જગન્નાથ મંદિરથી જમાલપુર શાકમાર્કેટ- ફૂલબજારની આગળથી રોંગ સાઇડમાં રિવરફ્રન્ટ અંદર-મહાલક્ષ્મી મંદીરથી વિક્ટોરીયાગાર્ડન-અખાડાનંદ સર્કલ-વસંત ચોકથી લાલદરવાજા-અપના બજાર-સિદ્દી સૈયદની જાળી–વીજળીઘર-શ્રી બહુચર માતાનાં મંદિરથી પરત શ્રી ભદ્રકાળી માતાજી મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
વિજળી ઘર ચાર રસ્તાથી પાલીકા બજાર થઈ નેહરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી એલીસબ્રિજથી ડાબી બાજુ વળી વિકટોરીયા ગાર્ડન તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
ગોળલીમડાથી રાયપુર દરવાજા થઈ એસ.ટી. ચાર રસ્તા થઈ જમાલપુર ચાર રસ્તા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
જમાલપુર ચાર રસ્તા થઈ ફૂલ બજારથી સરદારબ્રિજના પૂર્વ છેડાથી ડાબી બાજુના રોડ થઈ પૂર્વનો રિવરફ્રન્ટ રોડથી કામા હોટલ રિવરફ્રન્ટ કટ લઈ ખાનપુર દરવાજાથી ઘી કાંટા તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે.
કામા હોટલ રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલથી રૂપાલી સિનેમાથી જમણી બાજુ વળી નહેરુ બ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.
નોંધનીય છે કે, સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલ સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમા વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગુ નહીં પડે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને ૨૬ ફેબ્રુઆરીની સવારે ૦૪:૦૦ વાગ્યાથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવાનો રહેશે. આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનારને ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
નગરયાત્રાના રૂટના કાર્યક્રમો
૦૭:૩૦ વાગે નગરદેવી મા ભદ્રકાળી મંદિરે પાદુકા આરતી
૦૭:૪૫ વાગે લક્ષ્મી માના પંજાની આરતી
૦૮:૦૦ વાગે યાત્રા માટે રથ પર માના પાદુકાની પધરામણી
૦૮:૩૦ વાગે મહારાજ દ્વારા ત્રણ દરવાજા ખાતે દિવાની આરતી
૦૯:૦૦ વાગે બાબા માણેકના વંશજો દ્વારા બાબા માણેકનાથ મંદિર માણેક ચોક ખાતે પાદુકાની આરતી
૦૯:૪૫ વાગે એએમસી ઓફિસ ખાતે મેયર અને અધિકારીઓ દ્વારા પાદુકાની આરતી
૧૦:૩૦ વાગે જમાલપુર જગન્નાથ મંદિરે મંદિરના મહંત દ્વારા પાદુકાની આરતી
૧૧:૧૫ વાગે રિવરફ્રન્ટ ઘાટ પર સાબરમતી નદીની આરતી
૧૨:૦૦ વાગે પૌરાણીક મહાલક્ષ્મી મંદિર ખાતે પાદુકાની આરતી
૧૨:૩૦ વાગે વસંત ચોક ખાતેના પ્રાચીન ગણેશ મંદિરના પૂજારી દ્વારા પાદુકાની આરતી
૦૧:૦૦ વાગે બહુચર માતા મંદિર ખાતે પાદુકાની આરતી
૦૧:૩૦ વાગે ભદ્રકાળી મંદિર ખાતે હવન અને ભંડારો