કર્ણાટકમાં સિદ્ધારમૈયાના સ્થાને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના મુખ્યમંત્રી બનવાની અટકળો તેજ થઈ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ રવિવારે (બીજી માર્ચ) દાવો કર્યો હતો કે, ‘શિવકુમાર આગામી ડિસેમ્બરથી આગામી ૭.૫ વર્ષ માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપશે.’ આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે, ‘કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને રાજ્યના મુખ્યમંત્રી બનતા કોઈ રોકી શકે નહીં.’ કોંગ્રેસના નેતાઓના આ નિવેદનોએ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અફવાઓને વધુ તીવ્ર બનાવી દીધી છે.
ચન્નાગિરીના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ કહ્યું કે, ‘લખી લો, ડિસેમ્બર સુધીમાં થઈ જશે. જો તમે ઇચ્છો તો, હું લોહીથી પણ લખી શકું છું કે તે (શિવકુમાર) ડિસેમ્બર સુધીમાં મુખ્યમંત્રી બની જશે. જો તેઓ ડિસેમ્બરમાં કાર્યભાર સંભાળશે, તો તેઓ વહીવટ ચલાવશે જેમાં આગામી પાંચ વર્ષનો કાર્યકાળ પણ શામેલ હશે, તેથી કુલ મળીને તેઓ ૭.૫ વર્ષ માટે મુખ્યમંત્રી રહેશે. શિવકુમારે વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણીઓમાં કોંગ્રેસના પ્રદર્શનને સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.’
કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ કહ્યું કે, ‘તેમણે (શિવકુમાર) ઈતિહાસ રચ્યો છે. તેમણે પાર્ટીનું આયોજન કર્યું છે, પોતાના સંસાધનોનું રોકાણ કર્યું છે અને તેના માટે ઘણું બલિદાન આપ્યું છે. તેમનું મૌન કે સંયમ નબળાઈ તરીકે ન સમજવું જોઈએ. હાઈકમાન્ડ બધું જ જાણે છે અને મને ૧૦૦ % ખાતરી છે કે તે ડિસેમ્બર સુધીમાં મુખ્યમંત્રી બનશે. કર્ણાટકના રાજકીય વર્તુળોમાં, ખાસ કરીને શાસક કોંગ્રેસમાં, એવી ચર્ચા છે કે આ વર્ષના અંતમાં નેતૃત્વ પરિવર્તન થઈ શકે છે.’
બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે, ‘હું એ વ્યક્તિ હતો જેણે ખાતરી આપી હતી કે શિવકુમારને ધારાસભ્ય તરીકે ચૂંટણી લડવા માટે પહેલી ટિકિટ મળે. આજે તેઓ કર્ણાટકમાં એક સફળ નેતા તરીકે ઊભરી આવ્યા છે. ચાલો આપણે બધા ઈચ્છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે મુખ્યમંત્રી બને. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ હોવા છતાં, શિવકુમારે પડકારજનક સમયમાં પણ રાષ્ટ્રીય સ્તરે પાર્ટી માટે અથાક મહેનત કરી છે અને અન્ય રાજ્યોમાં પાર્ટીને સત્તામાં લાવવામાં પણ યોગદાન આપ્યું છે.’