પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી હતી. જે બાદ તેઓએ જામનગરમાં વનતારાની મુલાકાત લીધી હતી. ત્યારે આજે એટલે કે પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન સિંહ દર્શન કરશે.
આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો અંતિમ દિવસ છે. આજ રોજ વાઈલ્ડ લાઈફ દિવસ હોઇ પીએમ મોદી સાસણગીરમાં સિંહ દર્શન કરનાર છે. આ સિવાય સિંહસદનમાં વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વાઈલ્ડ લાઈફ બોર્ડની સાતમી રાષ્ટ્રીય બેઠક યોજાશે. આ બેઠક પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી સાસણથી રાજકોટ જવા રવાના થશે. જ્યાથી બપોરે દિલ્હી જવા માટે નિકળશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પ્રધાનમંત્રીએ મંદિરની અંદર સરદાર પટેલની પ્રતિમાને પણ શ્રદ્ધાંજલિ આપી અને વિશેષ પૂજા કરી. ત્યાર બાદ તેઓ સાસણ પહોંચ્યા હતા. વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન નરેન્દ્ર મોદીએ સુવર્ણ કળશ પૂજન પણ કર્યું હતું, આ સુવર્ણ કળશ મંદિરના શિખર પર સ્થાપિત કરવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, ટ્રસ્ટ દ્વારા ૧૫૦૦ થી વધુ સુવર્ણ કળશ સોમનાથ મંદિરના શિખર પર દાતાઓના સહયોગથી સ્થાપિત કરવાના છે, જેમાંથી મોટા ભાગના કળશ સ્થાપિત થઈ ચૂક્યા છે. પરંતુ અન્ય દાતાઓ ન પહોંચાડી શક્યા હોય તેવા કળશનું રવિવારે સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રધાનમંત્રીએ પૂજન કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ૭ અને ૮ માર્ચે રોજ દક્ષિણ ગુજરાતના સુરત – નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા ૧૪ કરોડના ખર્ચે ૨ વિશેષ ડોમ તૈયાર કરાશે. સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી ૭ મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના ૭૫ હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે ૭ કરોડ ૧૫ લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી ૩ કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે. જનસભા માટે ૫૩ હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર ૩૮ હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની પીએમને આવકારવા ઉમટી પડે તેવો અંદાજ છે.