સીરિયામાં ગૃહયુદ્ધનો પરિસ્થિતિ ઉભી થઈ છે. છેલ્લા બે દિવસમાં બે જૂથો વચ્ચે ચાલેલી હિંસક અથડામણમાં એક હજાર કરતા વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
સીરિયામાં પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. સુરક્ષા દળો અને પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના સમર્થકો વચ્ચે બે દિવસની લોહિયાળ હિંસામાં એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આને છેલ્લા ૧૪ વર્ષમાં સીરિયામાં થયેલી સૌથી મોટી હિંસા ગણાવાઈ રહી છે.

યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સ અનુસાર, મૃતકોમાં ૭૪૫ નાગરિકોનો સમાવેશ થાય છે જેમને ખૂબ નજીકથી ગોળી મારવામાં આવી છે. આ ઉપરાંત, સરકારી સુરક્ષા દળોના ૧૨૫ સભ્યો અને અસદ સાથે જોડાયેલા સશસ્ત્ર જૂથોના ૧૪૮ આતંકવાદીઓ પણ માર્યા ગયા. અહેવાલો અનુસાર, લટાકિયા શહેરની આસપાસના મોટા વિસ્તારોમાં વીજળી અને પીવાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
સરકારે કહ્યું કે તે અસદના સમર્થકો દ્વારા કરવામાં આવતા હુમલાઓ સામે કાર્યવાહી કરી રહી છે. તેમણે મોટા પાયે થયેલી આ હિંસા માટે અલગ-અલગ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી કાર્યવાહીને જવાબદાર ઠેરવી. સીરિયામાં તાજેતરની અથડામણો ત્યારે શરૂ થઈ, જયારે ગુરુવારે દરિયાકાંઠાના શહેર જબલેહ નજીક સુરક્ષા દળોએ એક વોન્ટેડ માણસને અટકાયતમાં લેવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, અસદના વફાદાર લોકોએ તેમના પર હુમલો કરી દીધો.

શુક્રવારે સીરિયાની નવી સરકાર પ્રત્યે વફાદાર સુન્ની મુસ્લિમ બંદૂકધારીઓએ અસદના લઘુમતી અલાવી સમુદાયના સભ્યોની હત્યા કરવાનું શરૂ કર્યું હતું, ત્યારથી બંને જૂથો વચ્ચે અથડામણ ચાલુ છે. પરંતુ આ હયાત તહરિર અલ-શામ માટે એક મોટો આંચકો છે, કારણ કે તેના નેતૃત્વમાં બળવાખોર જૂથોએ અસદના શાસનને ઉથલાવી નાખ્યું હતું.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઇટ્સે વર્ષ ૨૦૨૧ ના તેના અહેવાલમાં જણાવ્યું હતું કે સીરિયામાં બશર અલ-અસદના શાસન દરમિયાન જેલમાં ૧ લાખથી વધુ લોકો માર્યા ગયા હતા. આમાંથી, ફક્ત સૈદનાયા જેલમાં ૩૦ હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. આ જેલ ત્રાસ, હત્યા અને ગાયબ કરવા માટે કુખ્યાત રહી છે. ૨૦૧૧ થી, સૈદનાયા જેલનો ઉપયોગ અસદના ક્રૂર શાસનની નીતિઓને અમલમાં મૂકવા માટે કરવામાં આવી રહ્યો છે.