ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ સંન્યાસની ચર્ચાઓ પર એક મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે અમારું કામ ફક્ત ICC ટ્રોફી જીતવાનું નથી, પરંતુ જ્યારે અમે રમત છોડીને જઈ રહ્યા હોઇએ ત્યારે ભારતીય ક્રિકેટ ટીમ મજબૂત સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવાનું પણ છે. ઉલ્લેખનીય છે કે ૯ માર્ચ, ૨૦૨૫ ના રોજ દુબઈમાં ભારતીય ટીમે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ નો ખિતાબ જીત્યો હતો.
દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને ૪ વિકેટથી હરાવીને ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે ૭ વિકેટે ૨૫૧ રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ટીમે ૪૯ મી ઓવરના છેલ્લા બોલ પર લક્ષ્ય હાંસલ કર્યું. ટીમ ઈન્ડિયાની જીતમાં કેપ્ટન રોહિત શર્માએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેમણે બેટથી ૭૬ રન બનાવીને જીતનો પાયો નાખ્યો હતો. મેચ બાદ તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો. વર્ષ ૨૦૧૩ પછી, ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો.
ફાઇનલ મેચમાં કિંગ કોહલી બેટિંગમાં નિષ્ફળ ગયો છતાં તેણે ટુર્નામેન્ટમાં મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી અને બધાના દિલ જીતી લીધા. ફાઈનલ પછી પોતાની નિવૃત્તિની ચર્ચા વચ્ચે, કોહલીએ કહ્યું કે ‘જ્યારે તમે જાઓ છો, ત્યારે તમે ટીમને વધુ સારી સ્થિતિમાં છોડીને જવા માંગો છો.’ મને લાગે છે કે હાલમાં આપણી પાસે એક એવી ટીમ છે જે આગામી આઠ વર્ષ સુધી વિશ્વની કોઈપણ ટીમનો સામનો કરવા માટે તૈયાર છે. અમે ઓસ્ટ્રેલિયાના મુશ્કેલ પ્રવાસ પછી કમબેક કરવા અને મોટી ટુર્નામેન્ટ જીતવા માંગતા હતા. ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ અમારા માટે અદ્ભુત છે. શુભમન ગિલ સાથે ઉભા રહીને કોહલીએ કહ્યું કે ટીમમાં એક સિનિયર ખેલાડી તરીકે, મારું ધ્યાન આગામી પેઢીને તૈયાર કરવા પર છે.