આજે ધૂળેટી પર્વની ઠેર ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતનાં દેવસ્થાનો પર પણ હોળી-ધૂળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
યાત્રાધામ અંબાજીમાં હોળી-ધુળેટી પર્વ નિમિત્તે ભક્તોની ભીડ જોવા મળી હતી. સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ અંબાના દર્શને આવ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. મંદિરના ચાચર ચોકમાં યાત્રિકો ધુળેટી રમતા જોવા મળ્યા હતા. દર્શને આવેલા માતાજીના ભક્તોએ એકબીજાને રંગ લગાવ્યો હતો. દર પૂનમે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે.
સુપ્રસિધ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે ગુજરાતનો સૌથી મોટો ધુળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો. ૫૧ હજાર નેચરલ કલર અને ૫૦૦ જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર ૭૦ થી ૮૦ ફુટ જેટલા ઉંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો ઉપર બ્લાસ્ટ કરાયા હતા.અને ૫૦ નાસિક ઢોલના તાલે હજ્જારો હરિભક્તો ઝુમી ઉઠયા હતા અને દાદાના રંગે રંગાયા હતા.
યાત્રધામ શામળાજી ખાતે રંગોત્સવની ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શામળીયાને અબીલ ગુલાલ રંગે રમાડાશે રંગોત્સવ. ચાંદીની પિચકારી દ્વારા કેસુડાનો રંગ પણ છાંટશે. રંગોત્સવના પાવન પર્વે ભગવાનને વિશેષ શણગાર કરાઈ રહ્યા છે. વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. સવારની શણગાર આરતી પહેલા રંગોત્સવ ઉજવાશે. હોળી અને ધુળેટીના પાવન અવસરે મંદિરને ફૂલોથી સજાવાયું. દિવસ દરમિયાન હજારો ભક્તો ભક્તિના રંગે રંગાઈ ધન્ય બનશે.
દ્વારકામાં ધુળેટીની ધામધૂમ પૂર્વક ભક્તોએ ઉજવણી કરી હતી. દ્વારકાધીશના દર્શન કરી મંદિર પરિસર બહાર રંગે રંગાયા ભક્તો. ડીજે તાલ સાથે ભક્તોએ આનંદ ઉલ્લાસ સાથે ધુળેટીની ઉજવણી કરી. બપોરના ૦૧:૩૦ વાગ્યે દ્વારકાધીશ મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી થશે. દ્વારકાધીશ સંગ રંગે રંગાવા ભક્તો આતુર બન્યા હતા.
ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરે રંગોત્સવની ઉજવણી કરી હતી. ૫૦ હજાર કરતા વધારે ભક્તો વડતાલ ધામમાં ઉમટ્યા હતા. વડતાલ હરિકૃષ્ણ મહારાજના ભક્તોએ દર્શન કર્યા હતા. ભક્તોએ ભગવાનના દર્શન કરી રંગોત્સવનો આણંદ માણ્યો હતો.