દિલ્હીના ટોચના ન્યાયાધીશ યશવંત વર્માના બંગલામાં આગ લાગ્યા બાદ કેશનો ઢગલો મળવા મામલે તપાસ શરુ કરી દેવાઈ છે. એવી અટકળો હતી કે, વર્મા વિરુદ્ધ ‘ઇન હાઉસ ઇન્કવાયરી’ શરુ કરવામાં આવશે. જોકે સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોએ તેનો ઇન્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની કૉલેજિયમે આ મામલે વધુ માહિતી મેળવવાની શરુઆત કરી દીધી છે. ત્યારબાદ યશવંત વર્મા વિરુદ્ધ શું કાર્યવાહી થઈ શકે છે, તે અંગે નિર્ણય લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે દિલ્હી હાઇકોર્ટના જજ યશવંત વર્માની ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની ત્રણ જજોની કૉલેજિયમે જસ્ટિસ વર્માને પાછા અલ્લાહાબાદ હાઇકોર્ટ મોકલવાની ભલામણ કરી છે. જોકે આ મુદ્દે સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર કોઈ માહિતી અપલોડ કરવામાં આવી નથી, પરંતુ સુપ્રીમ કોર્ટના એક ઉચ્ચ અધિકારીએ ભલામણ અંગેની પુષ્ટી કરી છે. સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી, જેને ઓલવવા જતાં ટીમને ત્યાં ભારે માત્રામાં રોકડ મળી આવતાં આ કાર્યવાહી લેવામાં આવી હોવાની ચર્ચા છે.
સુપ્રીમ કોર્ટના ટોચના સૂત્રોએ કહ્યું કે, ટ્રાન્સફર કરવાની ભલામણ શરુઆતની કાર્યવાહી છે. લોકોનો ન્યાયપાલિકા પર વિશ્વાસ જાળવી રાખવા માટે આ પગલું ભરવું જરૂરી છે. બીજી તરફ ન્યાયાધીશ વર્મા દિલ્હી હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશોમાં ત્રીજા ક્રમે છે, આ જ કારણે તેઓ હાઇકોર્ટની કૉલોજિયમના સભ્ય છે. જો તેઓ ત્યાં યથાવત્ રહેશે તો કૉલેજિયમ કામકાજ પર અસર પડવાની સંભાવના છે, તેથી તેમની સામે ટ્રાન્સફરની કાર્યવાહી કરવી જરૂરી છે.
વર્માનો મામલો સામે આવ્યા બાદ સીજેઆઇ સંજીવ ખન્ના અને ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ અન્ય ન્યાયાધીશો સાથે ચર્ચા કરી છે. તમામે કૉલેજિયમ દ્વારા ઉઠાવાયેલા પગલાંને સમર્થન આપવાની વાત કહી છે. જો હાલ વર્મા વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરુ કરી દેવાઈ છે અને આગળ શું કાર્યવાહી કરવામાં આવે, તેના પર વિચારણા થઈ રહી છે.
સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે બંગલામાં આગ લાગી ત્યારે યશવંત વર્મા શહેરમાં નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. એટલા માટે રોકડનો ઢગલો સૌની સામે આવી ગયો હતો. આ મામલે રૅકોર્ડબુકમાં પણ મોટી માત્રામાં રોકડ મળ્યાની એન્ટ્રી કરાઈ હતી. માહિતી અનુસાર ફાયર બ્રિગેડના અધિકારીઓ જ્યારે આગ ઓલવવા પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે તેમને કેશનો ઢગલો મળી આવ્યો હતો. આ મામલે તાત્કાલિક CJIના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કૉલેજિયમને જાણ કરાઈ હતી, જેના બાદ યશવંત વર્માની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા છે.