ગુજરાત સરકારે મિલકતની ખરીદી-વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહિ થાય. સ્ટેમ્પ ડ્યૂટીની આવકમાં થતા નુકસાનને રોકવા એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. જે ૧ લી એપ્રિલ, ૨૦૨૫ થી અમલમાં આવશે.
અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત
પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માટે મિલકતનો દસ્તાવેજ બહુ જ મહત્વપૂર્ણ હોય છે. મિલકતના દસ્તાવેજોની નોંધણી માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે. જો આવી વિગતો દસ્તાવેજમાં સામેલ નહીં હોય, તો તેની નોંધણી સ્વીકારવામાં આવશે નહીં. આ પગલું રાજ્યની તમામ સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ થશે.
છેતરપિંડી રોકવા સરકારનો નિર્ણય
સરકારના તાજેતરના પરિપત્રમાં જણાવાયું છે કે, ઘણી વખત મિલકતના દસ્તાવેજોમાં બાંધકામ હોવા છતાં ખુલ્લા પ્લોટના ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવે છે, જેનાથી સ્ટેમ્પ ડ્યૂટીની ગણતરીમાં ગેરરીતિ થાય છે અને સરકારને મોટું નુકસાન થાય છે.
આવા કિસ્સાઓમાં છેતરપિંડીનું પ્રમાણ પણ વધ્યું હોવાનું ધ્યાને આવતા આ સમસ્યાને નાથવા માટે, નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરીએ સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે. હવે દસ્તાવેજમાં મિલકતના ૫” * ૭” સાઇઝના રંગીન ફોટોગ્રાફ્સ, જેમાં એક સાઇડ વ્યૂ અને સામેનો દેખાવ હશે, તે મિલકતના વર્ણનવાળા પૃષ્ઠ પછી તરત જ ચોંટાડવાના રહેશે. ફોટાની નીચે મિલકતનું પૂરું પોસ્ટલ સરનામું લખવાનું રહેશે, અને તેની પર દસ્તાવેજ લખનાર તેમજ લેનાર બંને પક્ષકારોએ સહી કરવી પડશે.
સ્ટેમ્પ ડ્યૂટીની ચોરી અટકશે
ખાસ કરીને ખુલ્લા પ્લોટની મિલકતોની તબદીલીના કિસ્સામાં, ફોટોગ્રાફવાળા પૃષ્ઠ પર અક્ષાંશ અને રેખાંશની વિગતો દર્શાવવી ફરજિયાત બનશે. આ નિયમનો ઉદ્દેશ મિલકતની ચોક્કસ ઓળખ સુનિશ્ચિત કરવાનો છે, જેથી ખોટી માહિતી આપીને થતી ગેરરીતિઓને અટકાવી શકાય. જો આવી નોંધ દસ્તાવેજમાં નહીં હોય, તો સબ-રજિસ્ટ્રાર કચેરી તેને નોંધણી માટે ગ્રાહ્ય નહીં ગણે. આ નિર્ણયથી મિલકતના સ્થળની ચકાસણી સરળ બનશે અને ખોટા ફોટા રજૂ કરીને ઓછી સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની પ્રથા પર પણ લગામ લાગશે.