કેન્દ્રીય રેલ્વે અને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રેલ્વે મંત્રાલયના ૪ પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. જેની કુલ કિંમત ૧૮,૬૫૮ કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્ર, ઓડિશા અને છત્તીસગઢના ૧૫ જિલ્લાઓને આવરી લેતા આ પરિયોજનાઓ ભારતીય રેલ્વેના હાલના નેટવર્કને લગભગ ૧,૨૪૭ કિમી સુધી વિસ્તૃત કરશે.
શુક્રવારે કેન્દ્રીય મંત્રી વૈષ્ણવે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, ‘પરિયોજનાઓમાં સંબલપુર-જરપદા ત્રીજી અને ચોથી લાઇન, ઝારસુગુડા-સાસન ત્રીજી અને ચોથી લાઇન, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા પાંચમી અને છઠ્ઠી લાઇન અને ગોંદિયા-બલ્હારશાહ ડબલિંગનો સમાવેશ થાય છે.’
મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘રેલ્વે લાઇનના વિસ્તારથી ગતિશીલતામાં સુધારો થશે. આનાથી ભારતીય રેલ્વે માટે કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો થશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો રેલ કામગીરીને સરળ બનાવશે અને ભીડ ઘટાડશે.
૧૯ નવા સ્ટેશનો પણ બનાવવામાં આવશે. સ્ટેશનોના નિર્માણથી મહારાષ્ટ્રના ગઢચિરોલી અને છત્તીસગઢના રાજનાંદગાંવ સાથે જોડાણ વધશે. વધેલા જોડાણથી લગભગ ૩૩૫૦ ગામડાઓ અને લગભગ ૪૭.૨૫ લાખ લોકોને ફાયદો થશે.
આ પરિયોજનાઓને કારણે, ખરસિયા-નયા રાયપુર-પરમલકાસા બલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધી રેલ કનેક્ટિવિટી મળી શકશે. આનો ફાયદો એ થશે કે આ વિસ્તારમાં સિમેન્ટ પ્લાન્ટ સહિત નવા ઔદ્યોગિક એકમો સ્થાપવાની શક્યતાઓ ઊભી થશે. આ માર્ગો કૃષિ ઉત્પાદનો, ખાતરો, કોલસો, આયર્ન ઓર, સ્ટીલ, સિમેન્ટ, ચૂનાના પત્થર જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે જરૂરી છે. ક્ષમતા વધારાથી વાર્ષિક ૮૮-૭૭ મિલિયન ટન (MTPA) નો વધારાનો કાર્ગો હેન્ડલિંગ થશે.