પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં જૈન ધર્મના સૌથી આદરણીય અને સાર્વત્રિક મંત્ર ‘નવકાર મહામંત્ર’ના સામૂહિક જાપનું નેતૃત્વ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘નવકાર મહામંત્ર દિવસ’ કાર્યક્રમને સંબોધિત કર્યો, તેમણે કહ્યું કે ‘નવકાર મહામંત્ર’ નમ્રતા, શાંતિ અને સાર્વત્રિક સુમેળનું પ્રતીક છે. મને આ કાર્યક્રમમાં ભાગ લઈને આનંદ થયો. ‘નવકાર મહામંત્ર દિવસ’ કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “‘નવકાર મહામંત્ર’ ફક્ત એક મંત્ર નથી. તે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે અને તેનું મહત્વ ફક્ત આધ્યાત્મિક જ નથી. તે આપણા જીવનનો મૂળ સ્વર છે. તે દરેકને પોતાનાથી સમાજ સુધીનો માર્ગ બતાવે છે, તે લોકોથી દુનિયા સુધીની સફર છે. આ મંત્રનો દરેક શબ્દ જ નહીં, પરંતુ દરેક અક્ષર પોતે જ એક મંત્ર છે.”
તેમણે વધુમાં કહ્યું, “જ્યારે આપણે નવકાર મહામંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે આપણે ૧૦૮ દૈવી ગુણોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને માનવતાના કલ્યાણને યાદ કરીએ છીએ. આ મંત્ર આપણને યાદ અપાવે છે કે ધ્યાન અને ક્રિયા એ જીવનની સાચી દિશા છે. ગુરુ એ પ્રકાશ છે અને માર્ગ એ છે જે આપણી અંદરથી નીકળે છે.” બેંગલુરુનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, “હું હજુ પણ મારી અંદર ‘નવકાર મહામંત્ર’ની આધ્યાત્મિક શક્તિ અનુભવી રહ્યો છું. થોડા વર્ષો પહેલા હું બેંગલુરુમાં આવા સામૂહિક જાપનો સાક્ષી હતો, આજે મને પણ એવી જ લાગણી થઈ અને તે એટલી જ ઊંડી હતી.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “નવકાર મહામંત્ર કહે છે કે પોતાના પર વિશ્વાસ રાખો, પોતાની યાત્રા શરૂ કરો, દુશ્મન બહાર નથી, દુશ્મન અંદર છે. નકારાત્મક વિચારસરણી, અવિશ્વાસ, દ્વેષ, સ્વાર્થ એ દુશ્મનો છે, જેને હરાવવા એ જ ખરો વિજય છે. આ જ કારણ છે કે જૈન ધર્મ આપણને બહારની દુનિયાને નહીં, પણ પોતાને જીતવા માટે પ્રેરણા આપે છે.” તેમણે કહ્યું કે આપણે જાણીએ છીએ કે જીવનના ૯ તત્વો છે. આ 9 તત્વો જીવનને પૂર્ણતા તરફ દોરી જાય છે. એટલા માટે આપણી સંસ્કૃતિમાં નવનું વિશેષ મહત્વ છે. નવકાર મહામંત્રનું આ દર્શન વિકસિત ભારતના વિઝન સાથે જોડાયેલું છે. મેં લાલ કિલ્લા પરથી કહ્યું છે કે વિકસિત ભારતનો અર્થ વિકાસ અને વારસો બંને છે. એક એવું ભારત જે અટકશે નહીં, એક એવું ભારત જે થોભશે નહીં. જે ઊંચાઈઓને સ્પર્શશે પણ પોતાના મૂળથી કપાશે નહીં.
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, “વિકસિત ભારત તેની સંસ્કૃતિ પર વિકાસ કરશે. એટલા માટે આપણે આપણા તીર્થંકરોના ઉપદેશોનું જતન કરીએ છીએ. જ્યારે ભગવાન મહાવીરના ૨૫૫૦ મા નિર્વાણ મહોત્સવનો સમય આવ્યો, ત્યારે આપણે દેશભરમાં તેની ઉજવણી કરી. આજે, જ્યારે પ્રાચીન મૂર્તિઓ વિદેશથી પાછી આવે છે, ત્યારે આપણા તીર્થંકરોની મૂર્તિઓ પણ પાછી આવે છે. તમને જાણીને ગર્વ થશે કે પાછલા વર્ષોમાં, ૨૦ થી વધુ તીર્થંકરોની મૂર્તિઓ વિદેશથી પાછી આવી છે.”