ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
આ સંક્રમણથી કેવી રીતે બચવું તે અમે આપને જણાવી રહ્યા છીએ. કોરોના વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે.
તેનાં મુખ્ય ત્રણ લક્ષણ છે શરદી, તાવ રહેવો તથા સતત ખાંસી થવી.
ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે.
આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.
કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધોતાં રહો.
કોરોના વાઇરસનાં લક્ષણો

આ વાઇરસમાં દરદીનું તાપમાન 37.8 ડિગ્રી જેટલું વધી શકે છે. જેના કારણે પેશન્ટનું શરીર ગરમ હોય છે અને તે ઠંડી અનુભવે છે. તેને ધ્રૂજારી પણ અનુભવાય છે.
કોરોના વાઇરસને કારણે ગળામાં અંતરસ, માથામાં દુખાવો તથા ડાયેરિયા થવાની શક્યતા પણ રહે છે.
તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ મુજબ, પેશન્ટને ગંધ અને સ્વાદનો અનુભવ નથી થતો.
કોરોના વાઇરસની અસર ફેફસાં પર થાય છે. આની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.
વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવાનું શરૂ થવામાં સરેરાશ પાંચ દિવસ લાગી જતા હોય છે. જોકે, વૈજ્ઞનિકો એમ પણ કહે છે કે કેટલાક લોકોમાં આ લક્ષણો મોડા પણ દેખાઈ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે.
જોકે, કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેમાં 24 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.
જે લોકોમાં સંક્રમણનાં લક્ષણો હોય તેમનાં શરીર થકી ચેપ વધારે ફેલાય છે. જોકે, એવું પણ નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ બીમાર પડે એ પહેલાં પણ તે ચેપ ફેલાવી શકે છે.
કોરોના વાઇરસનાં શરૂઆતનાં લક્ષણો શરદી અને ફ્લૂ જેવા કે ઋતુ બદલાવવાને કારણે થતાં તાવ અને શરદી જેવો હોઈ કોઈ પણ સરળતાથી ભ્રમિત થઈ શકે છે.
જો તમને લક્ષણો જણાય તો શું કરવું?

જો કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો દેખાતાં હોય તો વ્યક્તિએ ઓછામાં ઓછા સાત દિવસ માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું જોઈએ.
આ સ્થિતિમાં વધુ માહિતી મેળવવા માટે 104 સેવા પર સંપર્ક સાધવો, આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર 079-23250818, 079-23251900 પર સંપર્ક સાધવો.
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા એક વૉટ્સઍપ ચૅટબોટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેની માટે તમે વૉટ્સઍપના માધ્યમથી 07433000104 નંબર પર પણ મૅસેજ કરી શકશો.
તમને કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો જણાતાં હોય તો હૉસ્પિટલમાં દોડી જતાં પહેલાં હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી લેવો વધારે હિતાવહ છે.

પોતાનો બચાવ કેવી રીતે કરવો?

- વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
- સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
- કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપાં તરે છે.
- જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપાં પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપાં પડ્યાં હોય અથવા એ ટીપાં તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે તો ચેપ લાગે છે.
- ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
- ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
- મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.

દવાખાનામાં દાખલ કરવાની જરૂર

જેમના શરીરમાં કોરોના વાઇરસે પ્રવેશ કરી લીધો છે, તેમાંથી મોટાભાગના પેશન્ટ આરામ કરે તથા પૅરાસિટેમોલ જેવી દવાઓની મદદથી સાજા થઈ શકે ચે.
જો દરદીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.
ફેફસાંની તપાસ કર્યાં બાદ તબીબ જાણી શકે છે કે શરીરમાં વાઇરસનો વ્યાપ કેટલો છે તથા દર્દીને ઓક્સિજન તથા વૅન્ટિલેટરની જરૂર છે કે કેમ.