જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ આઘાતમાં છે. દેશભરના લોકો આતંકવાદીઓ પર કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. એવામાં અમેરિકાએ આતંકવાદીઓને પકડવા માટે મદદ અંગે મોટી જાહેરાત કરી છે.
અમેરિકાએ કહ્યું છે કે તે આતંકવાદીઓને પકડવામાં ભારતની મદદ કરશે. અમેરિકાના ડીએનઆઈ ( નેશનલ ઈન્ટેલિજન્સના ડિરેક્ટર ) તુલસી ગબાર્ડે X હેન્ડલ પર પોસ્ટ કરીને કહ્યું છે, કે ‘આ ભયાવહ ઈસ્લામિક આતંકવાદી હુમલા બાદ અમે દ્રઢતાથી ભારતની પડખે છીએ. પ્રિયજન ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદનાઓ. અમે તમારી સાથે છીએ અને હુમલા માટે જવાબદાર લોકોને ઝડપવામાં સમર્થન કરીશું.’
સંયુક્ત રાષ્ટ્રનું ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ અંગે નિવેદન સામે આવ્યું છે. યુએન એ કહ્યું કે બંને દેશોએ આ પરિસ્થિતિમાં સંયમ રાખવાની જરૂર છે અને આ મુદ્દાનો ઉકેલ શાંતિથી-વાર્તાલાપ કરીને લાવવો જોઈએ. હાલ આ પરિસ્થિતિ ગંભીર છે અને અમારી નજર તેના પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એક જનસભાને સંબોધિત કરતાં કહ્યું હતું, કે ‘૨૨ મી એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહલગામાં આતંકવાદીઓએ નિર્દોષ દેશવાસીઓને જે નિર્દયતાથી માર્યા તેનાથી સમગ્ર દેશના કરોડો દેશવાસી દુ:ખી છે. તમામ પીડિત પરિવારોના આ દુ:ખમાં આખો દેશ તેમની સાથે ઊભો છે.’
પીએમ મોદીના ભાષણની મુખ્ય વાતો
૧. આતંકવાદી અને ષડ્યંત્ર રચનારાઓને વિચાર્યું નહીં હોય તેવી સજા મળશે
૨. ભારત એક એક આતંકવાદીઓને શોધશે અને સજા આપશે
૩. માનવતામાં વિશ્વાસ રાખતા તમામ લોકો અમારી પડખે ઊભા છે
૪. આવા સમયે અમારી સાથે ઉભેલા રાષ્ટ્રોનો આભાર
૫. ૧૪૦ કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ હવે આતંકના આકાઓની કમર તોડીને રહેશે