પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરવા વચન આપી રહી છે. ભારત પાકિસ્તાન પર લશ્કરી કાર્યવાહી કરે એવી પણ શકયતા છે. પરંતુ હાલ ભરતીય જનતા પાર્ટી(ભાજપ) અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરુ થઇ ગયું હોય એવું લાગે છે. કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતુ પોસ્ટર શેર (પીએમ મોદી વિશે કોંગ્રેસની પોસ્ટ) કર્યું છે, જેની સામે ભાજપે પણ પોસ્ટ શેર કરી કોંગ્રેસને જવાબ આપ્યો છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં વડાપ્રધાન મોદીનું માથું અને હાથ-પગ ગાયબ દેખાય છે. પોસ્ટમાં કોંગ્રેસે લખ્યું, “જવાબદારીના સમયે ગયબ.” આ પોસ્ટર સામે ભાજપે કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે.
ભાજપે કોંગ્રેસની પોસ્ટ શેર કરતા લખ્યું કે પાકિસ્તાન અને તેનું સાથી કોંગ્રેસને ગમે તેટલી ધમકીઓ આપે; નવું ભારત ન તો ઝૂકશે કે ન તો તૂટશે. આતંકવાદનો જવાબ બિરયાનીથી નહીં પણ ગોળીઓથી મળશે. આ નિર્ણાયક નેતૃત્વનો યુગ છે.
ભાજપે એમ પણ લખ્યું કે કોંગ્રેસે માથા વગરનો કુર્તો દર્શવીને ઉગ્રવાદી નારા ‘સર તન સે જુદા’ ને સમર્થન આપ્યું છે, જે મુસ્લિમ લીગ ૨.૦ ના વિભાજનકારી, ભયાવહ અને દિશાહીન વિચારોને ઉજાગર કરે છે. વડાપ્રધાન મોદી પાકિસ્તાન સમજે એ ભાષા બોલી રહ્યા છે, ત્યારે ઇસ્લામાબાદના સત્તાવાર હેન્ડલ શિરચ્છેદના નારાનો લગાવી રહ્યું છે, જે તેમના જેહાદી વિચારને ઉજાગર કરે છે.
કોંગ્રેસના પોસ્ટરના જવાબમાં ભાજપે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે કોંગ્રેસને લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસ કહેવું ખોટું નહીં હોય. તેમણે કહ્યું, “સમગ્ર ધ્યાન, સમગ્ર શક્તિ, વડા પ્રધાન મોદીજીનું નેતૃત્વ, સેનાની તાકાત, ભારતીયોની પ્રાર્થના આજે એક જ ધ્યેય સાથે કામ કરી રહી છે. એક ભારતીય રાજકીય પક્ષ પણ છે, જે આપણી વચ્ચે રહે છે, પરંતુ તેને લશ્કર-એ-પાકિસ્તાન કોંગ્રેસ કહેવું ખોટું નહીં હોય.”