રવિવારે પડેલા કમોસમી વરસાદ બાદ રાજકોટ, ભાવનગર અને બોટાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી વાતાવરણમાં પલટા બાદ અલગ અલગ વિસ્તારમાં કરા સાથે કમોસમી વરસાદ શરૂ થયો છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં જુવાર, બાજરી, તલ સહિતના ઉનાળુ પાકને મોટાપાયે નુકશાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ, ભાવનગર અને બોટાદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
બોટાદ તાલુકાના પીપરડી, પાળીયાદ ગામ સહિત રાણપુર તાલુકાના રાણપુર સહિત મોટી વાવડી ગામે કમોસમી વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટના પારડી, વિંછીયા સહિતના વિસ્તારોમાં પણ કરા, પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. ભાવનગરના વાતાવરણમાં પલટો જોવા મળતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના વાતાવરણમાં આવતીકાલે મંગળવારથી પાંચ દિવસ માટે પલટો આવી શકે છે અને ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવોથી મઘ્યમ વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોને મતે મંગળવારે ૬૩ %, બુધવારે ૭૦ %, ગુરૂવારે ૪૩ %, શુક્રવાર-શનિવારે ૪૦ % જેટલી વરસાદની સંભાવના છે.
૫ મે : બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, કચ્છ.
૬ થી ૯ મે : પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, નર્મદા ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, બોટાદ, દીવ.