ગુજરાતમાં ભરઉનાળે વાતાવરણમાં અચનાક પલટો આવ્યો છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે, તો માવઠું થતાં ખેડૂતોના ડાંગર, એરંડા, ઘઉં, કપાસ, કેરી સહિતના પાકોને ભારે નુકસાન પહોંચતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવતીકાલે ગુરુવારે ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આંકડા મુજબ, રાજ્યમાં આજે બુધવારે (૭ મે, ૨૦૨૫) સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યામાં અમદાવાદના બાવળામાં સૌથી વધુ ૨.૨૪ ઈંચ વરસાદ અને છેલ્લા ૬ કલાકમાં ખંભાતમાં ૪ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ કયા કેટલો પડ્યો કમોસમી વરસાદ.
હવામાન વિભાગે આજે બુધવારે અમરેલી અને ભાવનગરમાં રેડ ઍલર્ટ, રાજકોટ, બોટાદ, આણંદ, અમદાવાદ, ભરૂચ, વલસાડમાં ઑરેન્જ એલર્ટ અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, આજે બુધવારે સવારે ૧૦:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા એટલે માત્ર બે કલાકની અંદરમાં રાજ્યના ૯૫ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ અમદાવાદના બાવળામાં ૨.૨૪ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે આણંદના ખંભાતમાં ૧.૩૮ ઈંચ, સુરેન્દ્રનગરના લિંબડીમાં ૧.૧૦ ઈંચ, અમદાવાદના ધોળકામાં ૧.૦૬ ઈંચ, ખેડાના ધસરામાં ૧.૦૨ ઈંચ કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યના સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિતના ૯૦ તાલુકામાં ૧ ઈંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
આજે બુધવારે સવારે ૦૬:૦૦ થી બપોરના ૧૨:૦૦ વાગ્યા ૧૨ કલાકની અંદરમાં રાજ્યના ૧૨૩ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં ૩૪ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં બપોરના ૧૨:૦૦ વાગ્યા સુધીમાં છેલ્લા ૬ કલાકમાં સૌથી વધુ આણંદના ખંભાતમાં ૪.૦૨ ઈંચ વરસાદ પડ્યો હતો. અમદાવાદના બાવળા, આણંદના બોરસદ, વડોદરા, ભાવનગર, નર્મદાના ગરૂડેશ્વર તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ હજુ માવઠાની આગાહી કરી છે. જેમાં આવતીકાલે ગુરુવારે ૧૦ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી છે, ત્યારે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં ૫૦-૬૦ કિ.મી.ની સ્પિડે ભારે પવન ફૂંકાવવાની આગાહી છે.
આગામી ૯ થી ૧૧ મે દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે. આ દરમિયાન રાજ્યમાં ૩૦-૫૦ કિ.મી.ની સ્પિડે પવન ફૂંકાવવાની આગાહી છે.
