ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન આવ્યું છે. ટ્રમ્પે કહ્યું કે “જો હું મદદ કરવા માટે કંઈ કરી શકું તો હું જરૂર ત્યાં હાજર રહીશ”. તેમણે ઉમેર્યું કે હું ઇચ્છું છું કે બંને દેશો વચ્ચે વધતો સંઘર્ષ “અટકી” જાય.
૨૨ એપ્રિલના રોજ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓને નિશાન બનાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પહલગામ થયેલા આતંકી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઓહ, આ ભયંકર છે. મારી સ્થિતિ એવી છે કે હું બંને સાથે ખૂબ નજીકથી કામ કરું છું. હું બંનેને ખૂબ સારી રીતે ઓળખું છું અને હું ઇચ્છું છું કે તેઓ આ મામલાનો ઉકેલ લાવે. તેમણે હવે રોકાઈ જવું જોઈએ. જેવા સાથે તેવાની નીતિ અપનાવતા બચવાની જરૂર છે. મને આશા છે કે આ બધું હવે બંધ થશે.