પાકિસ્તાને ૪ કલાકમાં જ સીઝફાયરનો ભંગ કર્યો હતો. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે રઘવાયા થયા હતા. તેમણે કરેલા સંબોધનમાં કહ્યું, ભારતે જે કર્યું તે ખોટું હતું. આપણી સેનાએ તેનો વળતો જવાબ આપ્યો હતો. પહલગામ હુમલાનું બનાવું બનાવીને ભારતે પાકિસ્તાન માથે યુદ્ધ ઠોકી બેસાડ્યું છે. ભારતના પાયા વગરના આક્ષેપનો પાકિસ્તાન નિષ્પક્ષ તપાસ કરશે.
શરીફે આરોપ લગાવ્યો કે, ભારતે ડ્રોન અને મિસાઈલ હુમલાથી પાકિસ્તાનના નાગરિકોને નિશાન બનાવ્યા હતા. રહેણાક વિસ્તારમાં હુમલા કરીને ભારતે આપણી ધીરજની પરીક્ષા કરી હતી. ભારતીય સેનાએ પાકિસ્તાનના આર્મી કેમ્પને નિશાન બનાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી.
ચીનને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું
પાકિસ્તાનના વડા પ્રધાને ચીનને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું, આ ભાષણ ચીનના ઉલ્લેખ વગર અધૂરું છે. હું ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગનો આભાર માનું છું. છેલ્લા ૫ દાયકા કરતાં વધારે સમયથી ચીન અમારી સાથે દરેક સંકટમાં ઉભું છે.
શું છે સમગ્ર મામલો?
૨૨ એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૨૬ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આના ૧૫ દિવસ પછી, ભારતે ૭-૮ મે ની રાત્રે પાકિસ્તાન પર હવાઈ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, જેમાં લગભગ ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતે આ હવાઈ હુમલાને પહલગામ આતંકવાદી હુમલા પછીની કાર્યવાહી ગણાવી હતી. ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ આ કાર્યવાહી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેને દેશ પર હુમલો ગણાવ્યો અને સરહદ પર ગોળીબાર શરૂ કર્યો હતો. પાકિસ્તાને સતત ચાર દિવસ સુધી ડ્રોન અને મિસાઇલોથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ ગયો હતો. શનિવારે બંને દેશો યુદ્ધવિરામ માટે સહમત થયા હતા, પરંતુ ચાર કલાકમાં જ પાકિસ્તાને તેનો ભંગ કર્યો હતો.