સુપ્રીમ કોર્ટ વક્ફ સંશોધન અધિનિયમ ૨૦૨૫ ની બંધારણીય માન્યતાઓને પડકારતી અરજીઓ પર મર્યાદિત વચગાળાની રાહત મુદ્દે ૨૦ મેના રોજ સુનાવણી કરશે. આજે સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સોલિસીટર જનરલ તુષાર મહેતાએ ખાતરી આપી છે કે, સુનાવણી ચાલે ત્યાં સુધી કેન્દ્ર સરકાર ઍક્ટની જોગવાઈઓનો અમલ કરશે નહીં.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ગવઈએ વકીલોને આગામી સુનાવણી પહેલાં સંપૂર્ણ તૈયારીઓ પોતાની દલીલો-મુદ્દાઓનો કોન્સોલિડેટેડ રિપોર્ટ અગાઉથી રજૂ કરવા કહ્યું છે. જેથી કેસ લંબાય નહીં.
આ મામલે આજે સુનાવણીમાં CJI બી. આર. ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, અમે વક્ફ સંશોધન અધિનિયમ ૨૦૨૫ માં ત્રણ મુદ્દાઓ પર વચગાળાની રાહત આપવાની જરૂર છે કે કેમ તેના પર વિચારણા કરીશું. આ ત્રણ મુદ્દા વક્ફ બાય યુઝર, વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડ તથા વક્ફ હેઠળ સરકારી જમીનની ઓળખ છે.
CJI બી. આર. ગવઈ અને જસ્ટિસ એ જી મસીહની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, અમે અમારો જવાબ રજૂ કરી દીધો છે. તેના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આ કેસમાં હાલ વચગાળાની રાહત માટે સુનાવણી થઈ રહી છે? જેના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું કે, જો કોર્ટ વચગાળાના આદેશ પર વિચાર કરી રહી હોય તો તેમાં વધુ સમય ન લે. અરજદારોની જેમ તેઓ પણ શોર્ટ નોટ્સ રજૂ કરશે. નોંધનીય છે, વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ વક્ફ ઍક્ટને પડકારતાં અરજદારો તરફથી દલીલ કરી રહ્યા છે. તેમણે શોર્ટ નોટ્સ તૈયાર હોવાનું જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે, સુપ્રીમ કોર્ટ વક્ફ કાયદો, ૧૯૯૫ વિરુદ્ધ કોઈ પણ અરજી સ્વીકારશે નહીં, કે તેના પર સુનાવણી કરશે નહીં. અમે આ કાયદાની જોગવાઈઓ પર પ્રતિબંધ લાદવા સંદર્ભે થયેલી કોઈ અરજી સ્વીકારીશું નહીં. અમે માત્ર વક્ફ સંશોધન કાયદો, ૨૦૨૫ ને પડકારતી અરજીનો સ્વીકાર કરીશું. તેમાં પણ સુપ્રીમ કોર્ટે અગાઉ કહ્યું હતું કે, આ કાયદામાં આપત્તિજનક જોગવાઈઓની યાદી તૈયાર કરી એક અરજી રજૂ કરો.