અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ૦૩:૦૦ થી સાંજના ૦૬:૦૦ વાગ્યા સુધી ચાલશે. જેના માટે ૩૫ થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસદેવા માટે એએમટીએસ ની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશે, તે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છે, કે ‘ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, એસઆરપી ની ૨૫ કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.
નોંધનીય છે કે ચંડોળા તળાવની આસપાસ રહેતા ૨૦૦ થી વધુ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાયા છે જ્યારે હજુ અન્ય બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલુ છે.
