આઈપીએલ ૨૦૨૫ ગત દિવસોમાં પૂર્ણ થઈ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ આ વખતે સીઝનમાં શાનદાર જીત હાંસલ કરી. આજે આ જીતની ઉજવણી બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. હજારોની સંખ્યામાં ફેન્સ ટીમના સ્વાગત માટે પહોંચ્યા હતા. જ્યાં અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં અનેક લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા છે.
લોકો સ્ટેડિયમમાં ન પ્રવેશે તે માટે દરવાજા બંધ કરી દેવાયા હતા
ઘટના સ્થળના સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર ફેન્સની ભીડ એકઠી થઈ હતી, જેના બેકાબૂ થવાથી વાહનોને પણ નુકસાન થયું છે. નાસભાગ બાદ કારોને મોટું નુકસાન થયું છે.
આરસીબીના ફેન્સ પોતાની ચેમ્પિયન ટીમની એક ઝલક માટે ઉમટી પડ્યા હતા. કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ દ્વારા આજે અહીં તમામ આરસીબી ખેલાડીઓ માટે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. અહીં કર્ણાટક સરકારના અનેક મંત્રી પણ હાજર હતા. નાયબ મુખ્યમંત્રી શિવકુમાર પણ અહીં હાજર હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂના ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમની દીવાલો અને વૃક્ષો પર ચડ્યા હતા, જ્યારબાદ પોલીસે તેને ઉતારીને ભગાડ્યા હતા.
કર્ણાટકના બેંગલુરુમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં આરસીબીના ચાહકો તેમની ચેમ્પિયન ટીમની એક ઝલક જોવા માટે ઉમટી પડ્યા હતા.