અવાર-નવાર નિર્માણધીન સાઇટ પર દિવાલ અને માટી ધસી પડવા અને જર્જરિત ઇમારતો તૂટી પડવાના બનાવો વધી રહ્યા છે. આજે ગાંધીનગરના કોબા સર્કલ નજીક કમલમ પાસે નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
કમલમ પાસે શ્રીજી એરીશ નામની નિર્માણાધીન બિલ્ડિંગની દીવાલ ધરાશાયી થતાં ત્રણ શ્રમિકો દટાયા છે. જે પૈકી એક શ્રમિકનું મોત નીપજ્યાંની માહિતી મળી છે. મૃતકનું અજય પરમાર તરીકે જાણવા મળ્યું છે તે ડુંગરપુર રાજસ્થાનનો રહેવાશી છે જ્યારે ઈજાગ્રસ્તોમાં નટવર ડામોર અને ચિરાગ ડામોરનો સમાવેશ થાય છે. આ બંને પણ રાજસ્થાનના ડુંગરપુરના જ વતની છે.
અમદાવાદમાં વરસાદી વાતાવરણની વચ્ચે દૂધેશ્વર વિસ્તારમાં આવેલી ધર્મિ સોસાયટીના એક ફલેટમાં મંગળવારે ધાબા ઉપરાંત સીડી તથા જર્જરીત ઈમારતનો કેટલોક ભાગ પણ ધરાશાયી થયો હતો.આ ઘટનાને પગલે રહીશોના જીવ ઉચાટમાં મુકાયા હતા. સીડી તૂટી પડતા બીજા માળના રહીશો તેમના ઘરમાં જ ફસાઈ ગયા હતા. ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતા એક કલાકની જહેમત પછી ૯ મહિનાના બાળક સહિત કુલ ૧૬ લોકોને વિભાગ દ્વારા સલામત નીચે ઉતારી લેવામાં આવતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો.