ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુકલાએ આજે ૨૦૨૫ ની ૨૫, જૂને અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટર(ફ્લોરિડા) પરથી વહેલી સવારે ૦૨:૩૧ વાગે (ભારતીય સમય : બપોરે : ૧૨:૦૧) ગ્રેસ કેપ્સુલ (સ્પેસ એક્સના ડ્રેગન કેપ્સુલનું નવું નામ)માં બેસીને અફાટ અંતરિક્ષમાં વિરાટ છલાંગ લગાવી દીધી છે. નાસા – એકિઝઓમ -૪ મિશનના ટાઈમ ટેબલ મુજબ આઈ.એસ.એસ.માં શુભાંશુ શુકલા તેમના ત્રણ સાથી અવકાશયાત્રીઓ સાથે ૧૪ દિવસ રહેવાના છે. શુભાંશુ ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન સહિત ભારતીય યોગનું નિદર્શન પણ કરશે.
૧૪ દિવસ દરમિયાન ચારેય અવકાશયાત્રીઓ ૬૦ પ્રકારનાં વૈજ્ઞાનિક પ્રયોગો અને પરીક્ષણો કરવાના છે. તમામ પ્રયોગો અને પરીક્ષણો દુનિયાના ૩૧ દેશ માટે ઉપયોગી બની રહેશે. ઈસરોએ શુભાંશુ શુકલા માટે ખાસ સાત પ્રકારનાં વૈજ્ઞાનિક પ્રયોગોની યાદી બનાવી છે. આ સાત સંશોધનમાં અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં અવકાશયાત્રીઓને સ્નાયુઓમાં થતી સમસ્યા, કમ્પ્યુટરના સિકિનના ઉપયોગથી થતી શારીરિક-માાનસિક સમસ્યા, અંતરિક્ષમાં ગુરુત્વાકર્ષણવિહીન અવસ્થામાં પણ કઇ રીતે વિવિધ પ્રકારના ખેતીના પાક(મગ, મેથી) ઉગાડવા વગેરેનો સમાવેશ થાય છે.
ઇસરો નાં સૂત્રોએ એવી માહિતી આપી છે કે શુભાંશુ શુકલાનો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનો વિશિષ્ટ અનુભવ અમને ગગનયાનના અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન વગેરે ભાવિ પ્રોજક્ટમાં બહુ ઉપયોગી બની રહેશે. માર્ગદર્શકરૂપ બની રહેશે. ઉપરાંત, શુભાંશુ શુકલા આઇ.એસ.એસ.માં રહીને ડાયાબિટીસની સારવાર વિશે પણ તબીબી સંશોધન કરશે. સાથોસાથ ભારતીય યોગનું નિદર્શન પણ કરશે.

શુભાંશુ આ સાત સંશોધનો કરશે
- શુભાંશુ વિવિધ છ પાકના બીજ લઈને ગયા છે. તેઓ ત્યાં જોશે કે બીજ પર માઈક્રોગ્રેવેટીની શું અસર પડે છે. જો અવકાશમાં બીજ ફુંટશે તો, ભવિષ્યમાં અવકાશમાં ખેતીની સંભાવના ઉભી થશે.
- તેઓ માઈક્રોગ્રેવિટીમાં માઈક્રોએલ્ગીના ત્રણ જુદા જુદા સ્ટ્રેનનું પરીક્ષણ કરી રહ્યા છે. માઈક્રોએલ્ગીનો ઉપયોગ ફૂડ, ફ્યૂલ અને ઓક્સીજન જનરેશનમાં થઈ શકે છે. આ એક એવો સ્રોત છે, જેનાથી અવકાશમાં લાંબી જિંદગીને સપોર્ટ કરી શકે છે.
- મિશનમાં ટાર્ડીગ્રેડ્સ નામના સૂક્ષ્મજીવ પર પણ ટેસ્ટ કરાશે. આ જીવ કોઈપણ ખતરનાક વાતાવરણમાં બચાવી શકે છે.
- અવકાશમાં લાંબો સમય પસાર કરવાથી સ્નાયુ નબળા પડી જાય છે, ત્યારે અવકાશયાત્રીઓ સ્નાયુ નબળા પડતા અટકાવવા માટે પણ સંશોધન કરશે.
- સૌથી મહત્ત્વનું સંશોધન શૂન્ય ગુરુત્વાકર્ષણ દરમ્યાન આંખોના વિઝન પર શું અસર પડી શકે છે, તેનું પણ સંશોધન કરાશે.
- કેટલાક પાક અવકાશમાં અંકુરિત થશે અને તેમના પોષણ મૂલ્યની તુલના પૃથ્વી પર ઉગાડવામાં આવતા પાક સાથે કરવામાં આવશે. જો અવકાશમાં ઉગાડવામાં આવતા પાક સમાન રીતે પૌષ્ટિક હશે, તો ભવિષ્યના મિશનમાં ખોરાક લઈ જવાની જરૂરિયાત ઓછી થશે.
- શું સાયનોબેક્ટેરિયા યુરિયા અને નાઈટ્રેટનો ઉપયોગ કરીને અવકાશમાં એકસાથે ખોરાક અને ઓક્સિજન ઉત્પન્ન કરી શકે છે? જો આમાં સફળતા મળશે તો અવકાશમાં સ્વ-નિર્ભર જીવન પ્રણાલી બનાવવાની દિશામાં એક મોટી છલાંગ હશે.
એક્ઝીમો -૪ મિશનમાં ભારતે ૫૫૦ કરોડ રૂપિયાનું યોગદાન પણ આપ્યું છે. ખરેખર તો એક્ઝીમો – ૪ અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવાનો એક ખાનગી મિશન સાથે વેપારી હેતુસરનો પ્રયાસ છે. ભારતના અવકાશયાત્રી આ મિશનમાં જોડાઈને આઈ.એસ.એસ.માં જાય તો તેને અંતરિક્ષમાં રહેવાના વિશિષ્ટ પ્રકારના અનુભવ થાય. સાથોસાથ સંશોધન કરવાની યાદગાર તક પણ મળે. આ બધો અનુભવ ભારતના ભાવિ ગગનયાન પ્રોજેક્ટમાં અને ભારતીય અંતરિક્ષ સ્ટેશનમાં ઉપયોગી બને તેવો હેતુ છે.
