મહારાષ્ટ્રમાં ચાલી રહેલા ભાષા વિવાદમાં હવે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બાદ એનસીપી-એસસીપી નેતા સુપ્રિયા સુલેએ પણ મરાઠી vs હિન્દી ભાષા પર ફડણવીસ સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું છે.
સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, ‘સીએમ ફડણવીસ કોઈકના દબાણમાં આવીને હિન્દી ભાષાને મરાઠી ભાષાની ઉપર રાખી રહ્યા છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલા ક્યારેય આવું નથી થયું.’
શનિવારે મીડિયા સાથે વાતચીત કરતા સુપ્રિયા સુલેએ કહ્યું કે, ‘હું દેવેન્દ્રજી માટે ચિંતિત છું. આખરે તેમના પર કોણ દબાવ બનાવી રહ્યું છે? તેઓ કોના દબાણ હેઠળ આ બધુ કરી રહ્યા છે? મહારાષ્ટ્રના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હિન્દીને મરાઠીથી ઉપર રાખી રહ્યા છે.’
બીજી તરફ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબે પર એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જે હાલમાં રાજ્યના રાજકારણમાં ચર્ચામાં છે. વાાસ્તવમાં નિશિકાંતે રાજ ઠાકરે પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ‘અમે અહીં મરાઠી લોકોને પછાડી-પછાડીને મારીશુ.’ તેના પર પલટવાર કરતા રાજ ઠાકરેએ કહ્યું છે કે, ‘તમે મુંબઈ આવો. અમે તમને મુંબઈના દરિયામાં ડૂબાડી-ડૂબાડીને મારીશું.’
મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં જ ત્રણ ભાષા નીતિ લાગુ કરી હતી, જેને બાદમાં રદ કરી દેવામાં આવી. આ આદેશ પ્રમાણે રાજ્યમાં મરાઠી અને અંગ્રેજીની સાથે હિન્દી ફરજિયાત બનાવવામાં આવી હતી. જોકે, હવે સરકારે શાળાઓમાં હિન્દીને વિકલ્પ તરીકે સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
