રાજધાની દિલ્હીની જેમ આંધ્ર પ્રદેશમાં પણ દારૂ કૌભાંડની ભારે ચર્ચા છે. આંધ્રના આશરે 3500 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના પક્ષ વાયએસઆરસીપીના સાંસદ પી.વી. મિથુન રેડ્ડીની સાત કલાક પૂછપરછ બાદ ધરપકડ કરાઇ છે. જ્યારે આ કૌભાંડની ચાર્જશીટમાં વાયએસ જગન રેડ્ડીના નામનો પણ ઉલ્લેખ છે જોકે તેમને આરોપી નથી બનાવાયા.
આંધ્ર પ્રદેશ પોલીસ દ્વારા ૩૫૦૦ કરોડ રૂપિયાના લીકર કૌભાંડમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં આ લીકર કૌભાંડના નાણા કોની કોની પાસે પહોંચતા હતા તેનો ઉલ્લેખ કરાયો છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે જે નાણા એકઠા થતા હતા તે કેસી રેડ્ડી રાજાશેખર રેડ્ડી પાસે પહોંચતા હતા, જે બાદમાં વિજય રાઇ રેડ્ડી, મિથુન રેડ્ડી, બાલાજી પાસે પહોંચતા હતા અને અંતે નાણા પૂર્વ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પાસે પહોંચતા હતા. દર મહિને આશરે ૫૦ થી ૬૦ કરોડ રૂપિયાનું કલેક્શન થતું હતું.
આ સમગ્ર લિકર કૌભાંડમાં રાજાશેખર રેડ્ડી માસ્ટરમાઇન્ડ છે. હાલ એસઆઇટી દ્વારા સાંસદ મિથુન રેડ્ડીની ધરપકડ કરવામાં આવી છે, મિથુન રેડ્ડી પર દારુ નીતિ સાથે છેડછાડ કરવા અને ડિસ્ટિલરી કંપનીઓ પાસેથી લાંચ લઇને શેલ કંપનીઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો આરોપ છે. તપાસ દરમિયાન અત્યાર સુધી ૬૨ કરોડ રૂપિયા જપ્ત કરાયા છે. જેનો ઉલ્લેખ પણ શરૂઆતની ૩૦૦ પાનાની ચાર્જશીટમાં કરાયો છે. આ સમગ્ર કૌભાંડમાં ૨૬૮ થી વધુ સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા છે. બીજી તરફ વિપક્ષ વાઇએસઆરસીપીએ વર્તમાન મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ પર બદલાનું રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.